ચૂંટણી બાદના એક્ઝિટ પોલ કેટલાક ભરોસાપાત્ર?
ચૂંટણી પૂર્ણ થતાં જ સૌથી વધુ જેની રાહ જોવાય છે, એ છે એક્ઝિટ પોલ! પરંતુ શું એક્ઝિટ પોલ ભરોસાપાત્ર હોય છે?
અનેક રેલીઓ, ભાષણો, નિવેદનો અને નેતાઓના આરોપ અને પ્રત્યાઘાતો વચ્ચે બે સીટો (અલાપુર અને કર્ણપ્રયાગ) સિવાય દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે. હવે દેશભરમાં રાહ જોવાઇ રહી છે, આજે સાંજે 5.30 વાગે જાહેર થનાર એક્ઝિટ પોલની. ઘણીવાર એક્ઝિટ પોલ માં ચૂંટણીના પરિણામોનું સટિક અનુમાન જોવા મળે છે, પરંતુ ઘણીવાર ચૂંટણીના પરિણામો એક્ઝિટ પોલ કરતાં બિલકુલ વિપરિત આવ્યા હોય એવું પણ બન્યું છે. આવો એક નજર નાંખીએ એવા જ કેટલાક એક્ઝિટ પોલ પર, જેને ચૂંટણીના પરિણામોએ ખોટા પુરવાર કર્યા હતા.
દિલ્હીમાં 'આપ' પાર્ટીએ કરાવી એક્ઝિટ પોલની એક્ઝિટ
દિલ્હીમાં વર્ષ 2015માં થયેલી વિધાનસભાની ચૂંટણી કોઇ નહીં ભૂલી શકે. તમામ એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું હતું કે, દિલ્હીમાં ભાજપને બહુમત મળવાની શક્યતા સૌથી વધારે છે, માત્ર ઇન્ડિયા ન્યૂઝ-એક્સેસે પોતાના ચૂંટણી સર્વેમાં આમ આદમી પાર્ટીને 53 સીટો મળવાની શક્યતા જાહેર કરી હતી. ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત થયાં. આમ આદમી પાર્ટીએ ચૂંટણીમાં કુલ 67 સીટો પર કબજો કર્યો.
બિહારમાં પણ એક્ઝિટ પોલનો ફિયાસ્કો
દિલ્હી બાદ વારો હતો બિહાર વિધાનસભા ચૂંટણીનો. બિહારમાં પણ લગભગ તમામ એક્ઝિટ પોલમાં ભાજપને જ બહુમત મળવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. એ તમામ તારણોને ખોટા સાબિત કરતાં જેડીયૂ, આરજેડી અને કોંગ્રેસના મહાગઠબંધનને 178 સીટો પ્રાપ્ત થઇ, જ્યારે કે ભાજપ ગઠબંધનને માત્ર 58 સીટો મળી.
એક્ઝિટ પોલ ખોટા સાબિત કરી સપાએ રચ્યો હતો ઇતિહાસ
હાલમાં જ પૂર્ણ થેયલી પાંચ વિધાનસભાની ચૂંટણીઓમાં સૌથી વધુ નજર ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો પર છે. વર્ષ 2012માં જ્યારે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી થઇ ત્યારે માત્ર હેડલાઇન્સ ટુડેના એક્ઝિટ પોલ ચૂંટણી પરિણામોની નજીક હતા. હેડલાઇન્સ ટુડે દ્વારા સમાજવાદી પાર્ટીને 195થી 210 સુધીની સીટો મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં સપાએ 224 સીટો જીતી.
તમિલનાડુમાં પણ ધારાશયી થયા હતા એક્ઝિટ પોલ
વર્ષ 2016માં તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી થઇ હતી. આ ચૂંટણી બાદ મોટાભાગના એક્ઝિટ પોલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ડીએમકે 110થી 140 સુધીની સીટો જીતી તમિલનાડુમાં સરકાર બનાવશે. પરંતુ ચૂંટણીના પરિણામોએ તમામ ચૂંટણી પંડિતોને મોટો ઝાટકો આપ્યો. એક્ઝિટ પોલની તમામ ગણતરીઓ અને તારણોને ખોટા સાબિત કરતાં એઆઇએડીએમકે પાર્ટીએ 136 સીટો પર કબજો કર્યો.
મમતા બેનર્જી પણ આપી ચૂક્યા છે એક્ઝિટ પોલને ટક્કર
પશ્ચિમ બંગાળમાં જ્યારે વિધાનસભા ચૂંટણી થઇ, ત્યારે ઇન્ડિયા ટુડેએ પોતાના એક્ઝિટ પોલમાં જણાવ્યુ હતું કે, 243 સીટો જીતીને મમતા બેનર્જી શાનદાર જીત મેળવી શકે છે. તો બીજી બાજુ ચાણક્યએ પોતાના ચૂંટણી સર્વેમાં મમતા બેનર્જીને 210 અને સી-વોટરને 167 સીટો આપી હતી. આ ચૂંટણીમાં મમતા બેનર્જી 211 સીટો સાથે વિજેતા સાબિત થયા.
લોકસભા ચૂંટણીમાં સૌના અનુમાન ખોટા ઠર્યા
વર્ષ 2014માં થેયલી લોકસભાની ચૂંટણીમાં દરેકનું એક જ અનુમાન હતું, ભાજપના નેતૃત્વવાળી એનડીએ ને બહુમત મળશે, માત્ર ન્યૂઝ 24 અને ઇન્ડિયા ટુડેના ચાણક્ય એક્ઝિટ પોલ ચૂંટણી પરિણામોની નજીક હતા. લોકસભાની ચૂંટણીમાં એનડીએ ને 334 સીટો મળી, જ્યારે ભાજપને 282 સીટો મળી અને કોંગ્રેસને માત્ર 45 સીટોથી સંતોષ માનવાનો વારો આવ્યો.
અહીં વાંચો