J&K : 15 વર્ષોનો છોકરો ઘર છોડી બન્યો આતંકી, છેવટે શબ...
જમ્મુ કાશ્મીરમાં 15 વર્ષના સગીર યુવકે પરિવાર છોડીને આતંકવાદને પસંદ કર્યું. માતા-પિતાની અપીલ પણ ના માની પછી જે થયું તે ખરેખર દુખાદાઇ છે. વિગતવાર વાંચો આ અંગે અહીં.
આફ્રિકા અને સીરિયામાં " Child solider "નો કોન્સેપ્ટ કંઇ નવો નથી. માસૂમ બાળકોને બ્રેઇનવોશ કરી હાથમાં હથિયાર આપી ફના થવાની વાતો કરી અહીં તેમનું જીવન બરબાદ કરવામાં આવે છે. પણ આ વાત હવે જમ્મુ કાશ્મીરની પણ હકીકત બની રહી છે તેવો કિસ્સો સામે આવ્યો છે. ગત વર્ષ જૂનમાં 15 વર્ષીય ફરહાન વાની તેનું ઘર છોડી હિઝબુલ મુઝાહિદ્દીનમાં જોડાઇ ગયો હતો. ગૌહર જાન, ફરહાનની માતા જ્યારે પણ કોઇ હિઝબુલ આંતકીના એનકાઉન્ટરની વાત સાંભળતી તો તે પોતાના પુત્ર માટે દુઆ માંગવા બેસી જતી હતી. પણ મંગળવારે તેનો ડર સચ્ચાઇમાં ફેરવાઇ ગયો. દક્ષિણી કાશ્મીરના અનંતનાગના પહલીપોરા ગામમાં એક યુવક એનકાઉન્ટરમાં માર્યો ગયો. પોલીસ તપાસમાં આ યુવકની ઓળખ ફરહાન વાની તરીકે થઇ જે ખુદવાની કુલગામનો નિવાસી છે. ઉલ્લેખનીય છે કે હાલ થોડા સમય પહેલા જ તેના પિતાએ ફેસબુકમાં તેના પુત્રને આંતકવાદ છોડી ઘરે પરત ફરવાની અપીલ કરી હતી. પણ પિતાની વાત ના માનતા છેવટે તેનું શબ જ ઘરે પરત ફર્યું હતું.

ફરહાન વાની
આંતકવાદ તરફ વળેલા સગીરના પિતા શિક્ષા વિભાગમાં કામ કરે છે. ગુલામ મોહમ્મદ વાનીએ નવેમ્બરમાં જ ફેસબુકમાં માર્મિક અપીલ કરી હતી કે હિંસા છોડી દે, હિંસા કોઇનું ભલું નહીં કરે, ઘરે પાછો આવી જા. પણ લાગે છે કે આ પહેલા જ ફરહાન ખૂબ દૂર નીકળી ગયો હતો. જમ્મુ કાશ્મીરમાં હાલ પોલીસ એક પછી એક આતંકીઓનો ખાત્મો કરી રહી છે. ત્યારે સેના અને આતંકીઓની વચ્ચે ચાલી રહેલી જવાબ કાર્યવાહીમાં 15 વર્ષના ફરહાનને ગોળી લાગી ગઇ અને તેની મોત થઇ ગઇ. જે ઘરને તે લાત મારી જતો રહ્યો હતો. અને લાખ અપીલ પછી પણ પરત ના આવ્યો હતો. તે ઘરે જ મંગળવારે તેના શબને અપનાવી ધર્મ મુજબ તેનું સુપુર્દ એ ખાક કર્યું હતું.

કેવી રીતે બન્યો આતંકી
14 જૂન 2017ના રોજ 11માં ધોરણમાં ભણતો ફરહાન ફિઝિક્સના ટ્યૂશનમાં જઉં છું કહી બપોરે ઘરથી નીકળ્યો હતો. પણ પાછો ફરી ક્યારેય નહતો આવ્યો. એક સપ્તાહ પછી પોલીસે તેના પરિવારને જાણ કરી કે તેમનો પુત્ર આતંકી સંગઠન હિઝબુલમાં સામેલ થઇ ગયો છે. જે રીતે ગત વર્ષે અનંતનાગમાં નવોદિત ફૂટબોલર માજિદ ઇરશાદે આતંકી બન્યા પછી માંની વાત માની બંદૂક થોડી ઘર પરત ફર્યો હતો. તે જોતા ફરહાનના પિતાને પણ આશ જાગી હતી કે ફેસબુકની અપીલ પછી તેમનો છોકરો પાછો ઘરે આવશે.

પિતાની માર્મિક અપીલ
ફરહાન વાનીના પિતા ગુલામે ફેસબુક પર જે પોસ્ટ લખી હતી તે પણ ખૂબ જ માર્મિક હતી. ફરહાનના પિતાએ કહ્યું હતું કે "મારા પ્રિય પુત્ર જ્યારથી તું ઘર છોડીને ગયો છે ત્યારથી મારા શરીરે મને દગો આપવાનું શરૂ કરી દીધું છે. તમારા દુખમાં હું ચીસો પાડું છું. તેમ છતાં આશા રાખું છું કે તું પાછો આવશે. હું શબ્દોમાં વર્ણાવી નથી શકતો કે હું તારા હસતા ચહેરાને કેટલો મિસ કરું છું. એક મિનિટ પણ તેવી નથી ગઇ જ્યારે મેં તને યાદ ના કર્યો હોય. આશા રાખું છું કે તું ઠીક હશે. હું તારો પિતા છું. જો હું તને સાચું ખોટું નહીં કહું તો બીજું કોણ કહેશે?"

યુવાના ભાવિને બચાવો
ફરહાન ભણવામાં પણ હોશિયાર હતો. તેની માતાએ થોડા દિવસ પહેલા જ તેમનો લાડકો પુત્ર ઘરે આવશે તે આશથી તેની ફેવરેટ ડિશ પણ બનાવી હતી. પણ હવે ફરહાનનું શબ જ તેના ઘરે પરત ફર્યું છે. ખરેખરમાં સગીર વયે બ્રેઇનવોશ કરીને માસૂમ યુવકોને આતંકી બનાવી તેમને મોતના માર્ગે લઇ જતા આ આતંકી સંગઠનો હજી પણ આવા અનેક ફરહાનને ગુમરાહ કરી રહ્યા છે. અને જમ્મુ કાશ્મીરમાં માં-બાપ તેમના વ્હાલસોયા બાળકોને ગુમાવી રહ્યા છે. આ સળગતા પ્રશ્નને જો અવાજ નહીં આપવામાં આવે ઉકેલવામાં નહીં આવે તો આપણો આવનાર સમાજ પણ હાલ આફ્રિકા અને સિરીયા જેવા હાલે આવીને ઊભો રહેશે.












Click it and Unblock the Notifications
