ખેડૂત આંદોલન : કૉન્ટ્રેક્ટ ફાર્મિંગથી કેટલો લાભ, કેટલું નુકસાન?
ખેડૂત આંદોલન : કૉન્ટ્રેક્ટ ફાર્મિંગથી કેટલો લાભ, કેટલું નુકસાન?
દેશમાં હાલમાં લવાયેલા ત્રણ કૃષિકાયદાઓનો વિરોધ જારી છે. ખેડૂતોને આશંકા છે કે આ કાયદાઓને કારણે તેમની ખેતી પર કૉર્પોરેટ કંપનીઓનો કબજો થઈ જશે.
ખેડૂત આંદોલનમાં કૉન્ટ્રેક્ટ ફાર્મિંગનું નામ વારંવાર સામે આવે છે. ખેડૂતોના ભય સામે કોઈની જમીન નહીં છીનવાય એમ વડા પ્રધાનથી માંડી અનેક મંત્રી કહી ચૂક્યા છે.
ખેડૂતોનું એવું પણ કહેવું છે કે કંપનીઓ સાથે વિવાદ સર્જાવાની સ્થિતિમાં કોર્ટના દરવાજા ખખડાવવાનો વિકલ્પ પણ બંધ કરી દેવાયો છે, સ્થાનિક પ્રશાસન જો કંપનીઓનો સાથે આપશે તો ખેડૂતો ક્યાં જશે.
ખેડૂતોને લાગે છે કે નાના ખેડૂતો તેમના દાસ બની જશે. આ ત્રણ કાયદાઓ પૈકી કૉન્ટ્રેક્ટ ફાર્મિંગની પરવાનગી આપે છે. જેને લઈને ખેડૂતોના મનમાં આશંકાઓ છે.
તેનાથી ઊલટું સરકારને લાગે છે કે તે ખેડૂતોને તેમના પાકની કિંમતોમાં ઉતાર-ચઢાણથી બચાવશે. સાથે જ તેમને ખેતીની નવી રીતો અને ટૅક્નૉલૉજીથી રૂબરૂ કરાવશે.
સરકાર અને ખેડૂતો વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત ક્યારે અને કેવી રીતે આવશે તે જાણવામાં હજુ સમય લાગશે., પરંતુ કૉન્ટ્રેક્ટ ખેતીનાં ફાયદા અને નુકસાન શું છે, તે સમજવા માટે બીબીસીએ બે જાણકારો સાથે વાત કરી જેમના દૃષ્ટિકોણ એકબીજાથી ભિન્ન છે.
શું છે લાભ?
વરિષ્ઠ પત્રકાર વિવિયન ફર્નાંડિસનું માનવું છે કે દેશમાં પહેલાંથી ચાલી રહેલ કૉન્ટ્રેક્ટ ફાર્મિંગનાં અમુક મૉડલો પર નજર કરવાથી ઘણી વાતો સમજ પડે છે.
પહેલાંથી નક્કી કરાય છે કિંમતો
વિવિયન ફર્નાંડિસ પ્રમાણે, “આ પદ્ધતિનું સમર્થન કરનારાઓનું કહેવું છે કે રોપણી વખતે જ પાકની કિંમત નક્કી કરીને ખરીદીનીં ગૅરંટી અપાવાને કાણે કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ કરનારા ખેડૂતોનું જોખમ ઘટી જાય છે તેથી તેઓ બેફિકર થઈ પોતાનું સંપૂર્ણ ધ્યાન ખેતીમાં લગાવે છે. ખેતીની રીતો અને ઉત્પાદન વધારવા પર કંપનીઓનું સંપૂર્ણ જોર હોય છે.”
“જોકે ખેડૂતોને હવામાન, જીવાત અને પાકને લાગનાર બીમારીઓના હુમલા જેવાં નુકસાનોનો ભય રહે છે. જો પાકને સિંચાઈનું સારું પાણી મળવાનું નક્કી હોય તો ઋતુના મારથી અમુક હદ સુધી બચી શકાય છે.”
તેમના પ્રમાણે પારંપરિક બ્રીડિંગ અને એડવાન્સ બાયોટૅક્નૉલૉજી દ્વારા થતા જીન સુધારા અને જીન એડિટિંગના કારણે પાકને રોગપ્રતિકારક બનાવી શકાય છે.
“જો કંપનીઓ ખેડૂતો પાસેથી કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ કરાવશે તો ઇચ્છશે કે ઊપજ વધે. પાકની ગુણવત્તા સારી રહે અને બરબાદી ઓછી થાય જેતી કંપનીઓને નુકસાન ન વેઠવું પડે.”
હરિત ક્રાંતિથી વધુ અલગ નહીં
ફર્નાંડિસ આની તુલના હરિત ક્રાંતિ સાથે કરે છે. તેમના પ્રમાણે હરિત ક્રાંતિની “વ્યવસ્થા હેઠળ ખેડૂતોએ જે પાક વાવ્યો, સરકારે તેની MSP ચૂકવીને તે ખરીદી લીધો. સરકારની આ ગૅરંટીના કારણે ખેડૂતોએ દર વર્ષે ઘઉં અને અનાજ પેદા કર્યું. તેઓ બજાર ઉતાર-ચઢાણથી નિશ્ચિંત રહ્યા કારણ કે પાકની ખરીદીની ગૅરંટી સરકારે આપી દીધી હતી.”
“અહીં માત્ર એક પ્રાથમિક ફરક એ યાદ રાખવાની છે કે કંપનીનું લક્ષ્ય ફાયદાનું હોય છે અને સરકારનું લક્ષ્ય જન કલ્યાણ કે પછી રાજકીય, બીજો ફરક એ પણ છે કે કંપની સરકારની સરખામણીએ પોતાના ફાયદાને લઈને વધારે ચુસ્ત હોય છે.”
ટમાટરની કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ
પંજાબના પેપ્સિકોના પ્લાન્ટનું ઉદાહરણ આપતાં ફર્નાન્ડિસ કહે છે કે સરકારના નિયમોના કારણે પેપ્સિકોના ટામેટાંનો પ્રોસેસિંગ પ્લાન્ટ લગાવવો પડ્યો, પરંતુ અહીંના ટામેટાં પ્રોસેસિંગ માટે ઠીક નહોતાં, તેથી પેપ્સીએ પોતાની જરૂરિયાત અને પસંદ પ્રમાણે ટામેટાનાં બીજ બહારથી મગાવ્યાં.
ખેડૂતોનાં ખેતરોમાં તેના અનેક છોડ તૈયાર કરાયા. છોડને બચાવવા માટે પ્લાસ્ટિગની સુરંગો બનાવવામાં આવી. એ સુનિશ્ચિત કરવામાં આવ્યું કે બીજનું વધુમાં વધુ અંકુરણ થાય કારણ કે હાઇબ્રિડ બિયારણ ઘણું મોંઘું હતું.
એગ્રીકલ્ચરલ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઑથૉરિટી (અપીડા)ના ચૅરમૅન અને સરકારી અધિકારી ગોકુલ પટનાયક જણાવે છે કે પેપ્સી માટે ટામેટાંની કૉન્ટ્રેક્ટ ફાર્મિગ કરનાર પંજાબના એક ખેડૂતોનો અનુભવ સારો રહ્યો હતો. પટનાયક એ દિવસોમાં પંજાબ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કૉર્પોરેશનના એમ. ડી. હતા.
https://twitter.com/bbcnewsgujarati/status/1342355358925393923
ફર્નાંડીસ પ્રમાણે મૈક્કેને ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ શરૂ કરાવી, જેનો ફાયદો પણ ખેડૂતોને થયો.
“જો મહારા,ટ્ર આજે કેળાં ઉત્પાદન કરનાર ત્રીજું સૌથી મોટું રાજ્ય બની શક્યું છે તો તે શક્ય બન્યું છે માત્ર જલગાંવના કારણે. મહારાષ્ટ્રનાં કેળાંના કુલ ઉત્પાદનમાં એકલા જલગાંવની ભાગીદારી 70 ટકા છે. અને આ બધું જૈન ઇરિગેશનની કમાલ છે.”
“કંપની નેવુંના દાયકામાં 1990માં ઇઝરાઇલની એક કંપની પાસેથી કેળાંની ત્રણ પ્રજાતિઓ મગાવી હતી. ઇઝારઇલની કંપની છોડ પ્રજનન અને ટિશ્યૂ કલ્ચરમાં માહેર છે. તે એક વર્ષમાં તૈયાર થઈ જાય છે જ્યારે પરંપરાગત ભારતીય પ્રજાતિઓનાં કેળાં દોઢ વર્ષમાં તૈયાર થઈ જાય છે. આ છોડથી બીજા છોડ અંકુરિત થતા હતા અને તેનાથી પણ બે પાક તૈયાર થતા હતા.”
ITC કંપનીએ રાજસ્થાનમાં ઝડપી હવામાં ઘઉંના છોડ ઊભા રહી શકે તે માટે સંશોધન કરાવ્યું. રિસર્ચથી એ ખબર પડી કે ઓછી ઊંચાઈના છોડ તૈયાર કરવામાં આવે તો તે હવાના કારણે પડવાથી બચી રહેશે.
ફર્નાંડિસ કહે છે કે, “કંપનીએ આ રણનીતિ હેઠળ શરબતી ઘઉંની ખેતીમાં રોકાણ શરૂ કર્યું છે. પોતાના આશીર્વાદ બ્રાન્ડના લોટ માટે તેઓ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ઘઉંની ખેતી કરાવી રહ્યા છે.”
અમૂલના મૉડલની કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ સાથે સરખામણી
ફર્નાંડિસનું માનવું છે કે ભારતમાં અમૂલની આગેવાનીમાં જે શ્વેત ક્રાંતિ આવી તે કૉન્ટ્રેક્ટ ફાર્મિંગનું જ ઉદાહરણ છે, જે સહકારી સંગઠનોના એક નેટવર્કના કારણે જ શક્ય બની હતી.
ફર્નાંડિસ જણાવે છે કે, “જે લોકો કૉન્ટ્રેક્ટ ફાર્મિગનો વિરોધ કરી રહ્યા છે તેઓ એવું દેખાડી રહ્યા છે કે જાણે કંપનીઓ આ પ્રકારની ખેતી કરાવવા માટે કૂદી પડવા તૈયાર છે જ્યારે હકીકત એ છ કે ઘણી કંપનીઓ આ ક્ષેત્રમાં ઝંપલાવવાથી ગભરાઈ રહી છે.”
“તેમને લાગે છે કે તેઓ જેટલી મૂડી અને સાધન લગાવશે તેની તુલનામાં ફાયદો નહીં થાય. આમાં એ જ કંપનીઓ ઊતરશે જેમને અમુક ખાસિયતોવાળાં ખાદ્ય ઉત્પાદનોની એક નિશ્ચિત સપ્લાયની જરૂર છે. કે પછી કૉન્ટ્રેક્ટ ફાર્મિંગમાં તેઓ જ ઊતરશે જેમને એ વાતનો પાકો ભરોસો હશે કે આ જટિલ કારોબારમાં તેઓ પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખી શકશે.”
ફર્નાંડિસ માને છે કે કંપનીઓ પાસે સોદાબાજીની વધુ તાકાત હોય છે પરંતુ ઘણી વાર ખેડૂતો પણ કૉન્ટ્રેક્ટ ફાર્મિંગની શરતો પાળતા નથી, ખાસ કરીને એવા સમયે જ્યારે બજારમાં કિંમત વધુ મળી રહી હોય.
“કંપનીઓ કૉન્ટ્રેક્ટનું ઉલ્લ્ઘન નહીં કરવા માગે કારણ કે તેમને પોતાના પુરવઠા માટે સમગ્ર ગામના ખેડૂતો પાસેથી ખેતી કરાવવાની હશે. જુદાં-જુદાં ગામના ખેડૂતોને પસંદ કરીને તેમની પાસેથી ખેતી કરાવવાનૂં તેમના માટે શક્ય નહીં હોય. તેમને એકઠા કરવાનો ખર્ચ વધુ થશે.”
તેઓ કહે છે કે કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ બંને તરફથી ભરોસા પર આધારિત છે. તેમાં કંપની અને ખેડૂત બંનેનો લાભ થવો જોઈએ.
શું છે નુકસાન?
કૃષિ મામલાના જાણકાર દેવેન્દ્ર શર્મા કૉન્ટ્રેક્ટ ખેતીના પક્ષમાં અપાઈ રહેલા તર્કોથી બિલકુલ સહમત નથી. તેઓ કહે છે કે એવું કહેવું ખોટું છે કે આનાથી પાકનું ઉત્પાદન વધશે અને ગુણવત્તા સુધરશે.
તેઓ આને અમેરિકા પાસેથી કૉપી કરાયેલ મૉડલ ગણાવે છે.
બીબીસી સાથે વતા કરતાં તેમણે જણાવ્યું કે, “જો આનાથી ખેડૂતોનો ફાયદો થાય છે. તો પછી અમેરિકાના ખેડૂતો હાલ દુ:ખી કેમ છે.”
તેઓ કહે છે કે, “જો આનાથી લાભ થતો હોતો તો મોટા ભાગના ખેડૂતો કૉન્ટ્રેક્ટ ફાર્મિંગની વાત કરી રહ્યા હોત.”
MSP જરૂરી છે
કૉન્ટ્રેક્ટ ખેતીના સમર્થનમાં એવા તર્ક અપાઈ રહ્યા છે કે કૉન્ટ્રેક્ટમાં ઉત્પાદનની કિંમત પેહલાંથી જ લખેલી હોય છથે અને તે એક પ્રકારે ગૅરંટી હોય છે. પરંતુ શર્મા માને છે કે MSP વિના ખેડૂતોને કોઈ પણ જાતની ગૅરંટી નથી મળી શકતી.
તેઓ કહે છે કે, “જો આવું જ હોય તો MSPની જોગવાઈ કૉન્ટ્રેક્ટ ખેતી માટે કેમ નથી કરાતી. જો આ જોગવાઈ કરવામાં આવે તો કંપનીઓ પોતાના હાથ પાછા ખેંચી લેશે.”
ઉદાહરણ આપતાં શર્મા જણાવે છે કે, “મગની દાળની MSP 72 રૂપિયા પ્રતિ કિલો છે, માર્કેટમાં 50 રૂપિયા છે, જો આપ કૉન્ટ્રેક્ટ 52 રૂપિયામાં કરી લેશો અને કહેશો કે આ તો 2 રૂપિયા વધુ છે, પંરતુ કિંમત તો 72 રૂપિયા મળવી જોઈતી હતી.”
સહકારી ખેતી અને કૉન્ટ્રેક્ટ ખેતી અલગ-અલગ છે
અમેરિકામાં થઈ રહેલી કૉન્ટ્રેક્ટ ખેતીનું ઉદાહરણ આપતાં શર્મા જણાવે છે કે, “100 ડૉલરમાં ખરીદાયેલ કોઈ પ્રોડ્કટના માત્ર આઠ ડૉલર ખેડૂતો સુધી પહોંચે છે. અમૂલની વાત કરીએ તો 100 રૂપિયાના દૂધના માત્ર 70 રૂપિયા ખેડૂતોને મળે છે. અમે સહકારી સિસ્ટમનું સમર્થન કરીએ છીએ, પરંતુ એવું કહેવું કે તે કૉન્ટ્રેક્ટ ખેતી જેવી જ છે તે બિલકુલ ખોટું છે.”
શર્મા પ્રમાણે અમૂલની જેમ ખેતી માટે પણ મૉડલ બનાવી શકાય છે, તેનાથી ખેડૂતોનો ફાયદો થશે.
તેઓ કહે છે કે, “જ્યારે આપણે દૂધમાં આવું કરી શકીએ છીએ, તો આ જ સિસ્ટમ શાકભાજી અને દાળ માટે કેમ નથી બનાવી શકતા.”
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=Gzq3Akg3FCU
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો