FDI મુદ્દે સરકારની 253 મત સાથે જીત
આખરે એ જ થયું જેની આંશકા વ્યક્ત કરવામાં આવી હતી. રિટેલમાં એફડીઆઇ વિરુદ્ધ મોટે-મોટેથી બોલનાર અને ત્યારબાદ ભારત બંધનું એલાન આપી ચૂકેલી સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ લોકસબામાં આ મુદ્દે વોટિંગ પહેલાં જ પીછેહટ કરી લીધી હતી. બન્ને પક્ષો અલગ-અલગ કારણ જણાવી સદનની બહાર જતા રહ્યાં હતા જેના પગલે યુપીએ સરકારનું નાક કપાતા બચી ગયું હતું.
નોંધનીય છે કે, રિટેલમાં એફડીઆઇ પર ગઇકાલે લોકસભામાં નિયમ 184 હેઠળ ચર્ચા ચાલી હતી. ચર્ચામાં ભાગ લેતા સપાના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવે તેને દેશ વિરોધી ગણાવ્યું હતું. બસપા તરફથી પણ સાંસદ દારા સિંહે તેનો વિરોધ કર્યો હતો, પરંતુ વોટિંગનો વારો આવ્યો તો સરકારને આ મુદ્દે નમાવવાની સ્થિતિ બને તે પહેલા જ બન્ને દળ મળીને સરકારને વોક ઓવર આપીને જતા રહ્યાં.
બન્ને દળોના સાંસદોએ લોકસભામાંથી વોક આઉટ કરી લીધું હતું. બસપાના સાંસદોએ એવો તર્ક જણાવ્યો કે તેમની વાત સાંભળવામાં આવી રહી નથી તેથી અમે બહિષ્કાર કરી રહ્યાં છીએ. મુલાયમ સિંહે એવો તર્ક આપ્યો કે ખેડુત અને રિટેલ વેપારીઓની અવગણના કરવામાં આવી રહી છે, તેથી અમે તેનો વિરોધ કરી રહ્યા છીએ. વોકઆઉટથી સરકારને ફાયદો થશે તે અંગે કંઇપણ બોલ્યા વગર મુલાયમ સિંહ ત્યાથી જતા રહ્યા હતા.
જોકે સપા અને બસપાના વોક આઉટથી સંસદમાં સરકારને બહુમત મળી ગયું અને એકવાર ફરી મુલાયમસિંહ અને માયાવતીની પાર્ટીએ યુપીએ સરકારને નીચી પડતા બચાવી લીધી હતી. કોંગ્રેસી નેતાઓએ આને જનતાની જીત ગણાવી હતી.