UAEથી ભારત આવતી ફ્લાઈટનું કોચી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ, 7 ક્રૂ મેમ્બરો સહિત 222 મુસાફરોનો બચાવ!
સંયુક્ત આરબ અમીરાતના શારજાહથી આવી રહેલી એર અરેબિયાની ફ્લાઈટમાં ગુરુવારે સાંજે ખામી સર્જાઈ હતી. પ્લેનમાં 7 ક્રૂ મેમ્બર સહિત 222 મુસાફરો સવાર હતા. જોકે, સદનસીબે કોચી એરપોર્ટ પર પ્લેન સુરક્ષિત લેન્ડ થયું હતું.
નવી દિલ્હ : સંયુક્ત આરબ અમીરાતના શારજાહથી આવી રહેલી એર અરેબિયાની ફ્લાઈટમાં ગુરુવારે સાંજે ખામી સર્જાઈ હતી. પ્લેનમાં 7 ક્રૂ મેમ્બર સહિત 222 મુસાફરો સવાર હતા. જોકે, સદનસીબે કોચી એરપોર્ટ પર પ્લેન સુરક્ષિત લેન્ડ થયું હતું.
જ્યારે પ્લેનમાં ખામી સર્જાઈ ત્યારે તે કોચી એરપોર્ટ પર લેન્ડ જ થવાનું હતું. એર અરેબિયાનું આ વિમાન G9-426 સંયુક્ત આરબ અમીરાતના શારજાહથી આવી રહ્યું હતું. કોચી એરપોર્ટ પર ઉતરતી વખતે હાઇડ્રોલિક ફોલ્ટ સર્જાયો હતો. વિમાનમાં 222 મુસાફરો અને સાત ક્રૂ મેમ્બર હતા. CIAL દ્વારા જારી કરવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે વિમાનને કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું છે. લેન્ડિંગ દરમિયાન કોચી એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી.
ડીજીસીએએ કહ્યું કે વિમાન રનવે પર સુરક્ષિત રીતે ઉતર્યું અને એન્જિન બંધ કરી દીધું હતું. ખામી સર્જાયા બાદ વિમાનને સાંજે 5:29 કલાકે એરક્રાફ્ટ રનવે 09 પર લેન્ડ કરવામાં આવ્યું હતું. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્લેનના હાઇડ્રોલિક્સમાં ખામી સર્જાતા જ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવી પડી હતી.