આસામમાં પૂર-ભૂસ્ખલનનો કહેર, 26 જીલ્લાઓમાં સંકટમાં લાખો લોકો, બચાવ ચાલુ
આ દિવસોમાં પૂર્વોત્તર ભારતના આસામ રાજ્યમાં પૂરના કારણે લોકોનું જીવન મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. અત્યાર સુધીમાં 26 જિલ્લા પૂરની ઝપેટમાં આવી ગયા છે, જેના કારણે લગભગ 4 લાખ લોકો પ્રભાવિત થયા છે. કેટલાક વિસ્તારોમાં ભૂસ્ખલન થયુ
આ દિવસોમાં પૂર્વોત્તર ભારતના આસામ રાજ્યમાં પૂરના કારણે લોકોનું જીવન મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. અત્યાર સુધીમાં 26 જિલ્લા પૂરની ઝપેટમાં આવી ગયા છે, જેના કારણે લગભગ 4 લાખ લોકો પ્રભાવિત થયા છે. કેટલાક વિસ્તારોમાં ભૂસ્ખલન થયું છે, જેના કારણે રોડ અને રેલ સંપર્ક ખોરવાયો છે. ઘણા લોકોના ઘરોને નુકસાન થયું છે. તેમજ હજારો લોકોને અન્ય સ્થળોએ જવું પડ્યું છે. આમ રાજ્યના અનેક ભાગોમાં પૂરના કારણે લોકોનું રોજીંદું જીવન ખોરવાઈ ગયું છે.
પૂરના વિનાશને ધ્યાનમાં રાખીને આસામના શિક્ષણ વિભાગ (AHSEC) એ આગામી આદેશ સુધી ધોરણ 11 ની પરીક્ષા સ્થગિત કરી દીધી છે. હવે પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે. આસામ હાયર સેકન્ડરી એજ્યુકેશન કાઉન્સિલ, એએચએસઈસીએ જણાવ્યું હતું કે પૂરને કારણે રાજ્યના ઘણા ભાગોમાં વિનાશ સર્જાયો છે, જેના કારણે 3 લાખથી વધુ લોકોનું જીવન ખોરવાઈ ગયું છે. આ આફતને કારણે શિક્ષણને પણ અસર થઈ છે. હવે ધોરણ 11 ના વિદ્યાર્થીઓ માટે નિર્ણય લેવામાં આવ્યો છે કે, તેને આગળની સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે.
AHSEC ની અગાઉની જાહેરાત મુજબ, તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા 1 જૂન, 2022 ના રોજ પૂરી થવાની હતી. જો કે, આફતને કારણે હવે ધોરણ 11ની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. શિક્ષણ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે આસામમાં ધોરણ 11ની પરીક્ષાઓ "આંશિક રીતે" સ્થગિત કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે પરિસ્થિતિ સુધરે અને આસામમાં પૂર ઓસર્યા પછી જ પુનઃપરીક્ષા હાથ ધરવામાં આવશે.
11 લોકોના મોત
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ પૂર અને ભૂસ્ખલનને કારણે 11 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ સિવાય હજારો લોકો હજુ પણ દરેક જગ્યાએ ફસાયેલા છે. જો કે, અત્યાર સુધીમાં લગભગ 2 લાખ લોકો સલામત સ્થળે સ્થળાંતર કરી ચૂક્યા છે.