ગૌરી લંકેશ હત્યાકાંડ: ગૃહ મંત્રાયલયે માંગ્યો રિપોર્ટ
મંગળવારે કર્ણાટકના બેંગલુરુ ખાતે પત્રકાર ગૌરી લંકેશની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના અંગે તાજેતરની માહિતી મેળવો અહીં...
કટ્ટર હિંદુવાદી સંગઠનો વિરુદ્ધ એક મજબૂત અવાજ એવા મહિલા પત્રકાર ગૌરી લંકેશની જે રીતે બેંગલુરુમાં તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી, એ પછી દરેક જગ્યાએ લોકો આ ઘટનાના વિરોધમાં અવાજ ઉઠાવી રહ્યા છે. રાજકારણ અને સામાજિક વર્ગ સાથે જોડાયેલા લોકોએ આ ઘટનાની આલોચના કરી છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે સાંજે લગભગ 7.45 વાગ્યે ગૌરી શંકર પોતાના ઘરમાં દાખલ થઇ રહ્યાં હતા, એ સમયે બાઇક પર સવાર ત્રણ લોકોએ ગોળી મારી તેમની હત્યા કરી હતી. ગૌર લંકેશ પર 7 રાઉન્ટનું ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોતાના બચાવ માટે ગૌરી લંકેશ જ્યારે ઘરના મુખ્ય દરવાજા તરફ ભાગ્યા ત્યારે ત્રણ ગોળી તેમના ગળા પર, છાતી અને માથામાં વાગી હતી, જ્યારે 4 ગોળીઓ દીવાલ પર લાગી હતી. ગૌરી લંકેશ કન્નડ સમાચાર પત્ર પત્રિકેના સંપાદક હતા.
ગૃહમંત્રાલયે માંગ્યો રિપોર્ટ
આ મામલાની તપાસ ચાલુ છે. ગુહ મંત્રાલય દ્વારા ગૌરી લંકેશ હત્યાકાંડની રિપોર્ટ માંગાવવામાં આવી છે. હત્યા બાદ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ પોલીસ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. આ અંગે સિદ્ધરમૈયાએ કહ્યું કે, ગૌરી લંકેશની હત્યા એક સંગઠિત અપરાધ છે, પોલીસને આ મામલે તપાસ કરવા દો. આ મામલાની તપાસ માટે એસઆઇટીનું ગઠન કરવામાં આવ્યું છે, જેની કમાન વરિષ્ઠ પોલીસ અધિકારીના હાથમાં છે.
ગૌરી લંકેશના ભાઇએ કરી CBI તપાસની માંગ
નોંધનીય છે કે, ગૌરી લંકેશના ભાઇ દ્વારા આ મામલે સીબીઆઇ તપાસની માંગણી કરવામાં આવી હતી. તેમણે આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, આ પહેલા પણ અનેક હત્યાઓ થઇ છે, પરંતુ તેની તપાસ આજ સુધી પૂરી નથી થઇ. હું મારી બહેનની હત્યાથી ખૂબ દુઃખી છું. આ મામલાની તપાસ બને એટલી જલ્દી થવી જોઇએ. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ અમારી સામે ખુલવા જોઇએ અને ઘટનાની નિષ્પક્ષ તપાસ થવી જોઇએ.