છોકરીઓનું ભાગવાનું કારણ ફિલ્મો અને મા-બાપની લાપરવાહી : કોર્ટ
કોર્ટની આ ટિપ્પણી 14 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓને નાસી ભગાડવાના મુદ્દે યુવકોને દોષી ગણાવતાં કહી હતી. કોર્ટે કહ્યું હતું કે મળતા પુરાવાના આધારે આ વાતની જાણકારી મળે છે કે કાપસહેડાથી અપહરણ થનારી છોકરી આરોપી યુવક સાથે સતત સંપર્કમાં હતી. તે નિયમિત રીતે ફોન પર તેની સાથે વાતચીત કરતી હતી. તે પોતાની મરજીથી યુવક સાથે રાજસ્થાન ગઇ હતી.
અતિરિક્ત સત્ર ન્યાયાધીશ વિરેન્દ્ર ભટ્ટે એમ કહીને આરોપી ભગવતી પ્રસાદને સજા સંભળાવી હતી કે આરોપી પહેલાંથી જેલમાં સજાની અવધિ પુરી કરી ચૂક્યો છે. માટે તેને છોડી મુકવામાં આવે. કોર્ટે ભગવતી પ્રસાદને 1 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. યુવક ઉત્તરાખંડનો રહેવાસી છે. 20 જુલાઇ 2010ના રોજ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
જજે કહ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ ભગવતી પ્રસાદનો કોઇ ગુનો નથી પરંતુ કાયદાકીય વ્યવસ્થાને ધ્યાનમાં રાખતાં આઇપીસી કલમ મુજબ તેને ગુનેગાર ગણાવ્યો છે. છોકરીની ઉંમર જ એક એવું ફેક્ટર છે જેના કારણે તેને દોષી માનવામાં આવે છે. ભગવતી પ્રસાદ જે બસનો ડ્રાઇવર હતો તે બસમાં છોકરી સ્કૂલ જતી હતી. તે દરમિયાન બંને વચ્ચે પ્રેમ થઇ ગયો. 2010માં ભગવતી પ્રસાદ છોકરીને રાજસ્થાનના મહેંદીપુર બાલાજી લઇ ગયો હતો.
ભગવતી પ્રસાદ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેને 13 જુલાઇ 2010ના રોજ છોકરી જ્યારે ટ્યૂશન જઇ રહી ત્યારે તેનુ અપહરણ કર્યું હતું. બચાવપક્ષનું કહેવું છે કે ભગવતી પ્રસાદ છોકરીને લલચાવી ફોસલાવીને ભગાડી ગયો ન હતો. છોકરીએ ભગવતી પ્રસાદને કહ્યું હતું કે તેના માતા-પિતા તેની સાથે મારપીટ કરે છે. જો ભગવતી પ્રસાદ તેની સાથે લગ્ન નહી કરે તો તે જેર ખાઇ લેશે.
કોર્ટે ભગવતી પ્રસાદને બળજબરીપૂર્વક લગ્ન કરવાના આરોપમાંથી મુક્ત કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે ભગવતી પ્રસાદે છોકરીને તેના મિત્રના ઘરે રાખી હતી અને તે ધર્મશાળામાં રોકાયો હતો. આ અંગે કોઇ પુરાવા નથી કે છોકરી સાથે બળજબરીપૂર્વક લગ્ન કરવાના ઇરાદે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.