આધાર કાર્ડ અને તમારા ખાતા સાથે મોદી સરકાર કંઇક આવું કરશે
એક અનુમાન અનુસાર, આપણા દેશમાં લગભગ 30 કરોડ લોકો પાસે મોબાઇલ નથી. એવામાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં એક વિકલ્પ તરીકે તમારા આધાર નંબરનો ઉપયોગ કરવામાં આવશે.
કાળા નાણાં પર લગામ લગાવવા અને કેશલેસ પેમેન્ટને પ્રોત્સાહન આપવાની દિશામાં મોદી સરકારે વધુ એક પગલું લીધું છે. હવે મોદી સરકાર આધાર કાર્ડને બચત ખાતા સાથે લિંક કરવા જઇ રહી છે, જેનાથી ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં ઘણી સરળતા રહેશે.
આપણા દેશમાં ઘણા લોકો પાસે આજે પણ મોબાઇલ ફોન નથી, માટે સરકારે આ નિર્ણય લીધો છે. એક અનુમાન અનુસાર આપણા દેશમાં લગભગ 30 કરોડ લોકો મોબાઇલ ફોન નથી વાપરતા. આથી ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં એક વિકલ્પ તરીકે આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવશે.
અહીં વાંચો- રાહુલ ગાંધીએ નોટબંધીને 'મોદી મેડ ડિઝાસ્ટર' ગણાવી

મોદીએ આ યોજનાને આપી લીલી ઝંડી
સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ યોજનાને લીલી ઝંડી આપી દીધી છે. હવે આ યોજનાને લાગુ કરવાની પૂરી જવાબદારી નાણા મંત્રી અરુણ જેટલી અને સૂચના પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદને સોંપવામાં આવી છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે, 'જેટલા વધુ આધાર નંબર લિંક થશે, ડિજિટલ ટ્રાન્ઝેક્શનને એટલું જ વધુ પ્રોત્સાહન મળશે અને એટલો વધુ એનો ઉપયોગ થશે.'

112 કરોડ એકાઉન્ટમાંથી માત્ર 40 કરોડ એકાઉન્ટ લિંક થયા છે
સૂત્રોના જણાવ્યા અનુસાર, દેશમાં લગભગ 112 કરોડ બેંક એકાઉન્ટ છે, જેમાંથી માત્ર 40 કરોડ એકાઉન્ટ જ આધાર કાર્ડ સાથે લિંક થયેલા છે. આ આંકડો જોતાં આધાર કાર્ડને બેંક એકાઉન્ટ સાથે લિંક કરવાની પ્રક્રિયામાં ઝડપ લાવવી પડશે. આના ફાયદા અંગે જણાવતાં સૂત્રએ કહ્યું કે, લોકો મોબાઇલ ફોન ન હોવા છતાં પણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરી શકશે.

કઇ રીતે કરવો ઉપયોગ?
આધાર કાર્ડ દ્વારા ચૂકવણી કરવા માટે આધાર સપોર્ટ ડિવાઇસ તથા બાયોમીટ્રિકના રિટેઇલ પોઇન્ટ પણ હોવા જરૂરી છે. ફોન વગર ટ્રાન્ઝેક્શન કરવા માટે આધાર બાયોમીટ્રિક લિંક દ્વારા પોતાના એકાઉન્ટમાં લોગ ઇન કરી ચૂકવણી કરવાની રહેશે. આનાથી ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધુ સરળ બનશે.

રિઝર્વ બેંકનું પણ દબાણ
ભારતીય રિઝર્વ બેંકે પણ આધાર કાર્ડની સુવિધાવાળા પોઇન્ટ ઓફ સેલ મશીનો રિટેઇલ સ્ટોરમાં રાખવા પર દબાણ કર્યું છે. આરબીઆઇ એ ઉપલબ્ધ મશીનો અપગ્રેડ કરવાનો સમય પણ આપ્યો છે. ખાસ તો ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ ટ્રાન્ઝક્શનને પ્રોત્સાહન આપવા માટે આધાર કાર્ડને બેંક એકાઉન્ટ સાથે લિંક કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે પણ બેંકો સાથેની મીટિંગમાં આ વાત પર જોર મુક્યું છે. બેંકોમાં ડિજિટલ ઇન્ફર્મેશન માટે હેલ્પલાઇન નંબર ચાલુ કરવાનું પણ કહેવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
