સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વયમર્યાદા 62 વર્ષ થવાની શક્યતા
નવી દિલ્હી, 5 ઓગસ્ટ : કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ટૂંક સમયમાં બે આનંદના સમાચાર આવી શકે એમ છે. એક તો કર્મચારીઓના મોંધવારી ભથ્થામાં 10 ટકાનો વધારો થઇ શકે છે. બીજા સમાચાર એ છે કે સરકાર કર્મચારીઓની નિવૃતિ વય મર્યાદા 60 વર્ષથી વધારીને 62 વર્ષ કરી શકે છે.
નિવૃત્તિ વયમર્યાદા વધારવાની દરખાસ્ત ગત ગુરૂવારે મળેલી કેન્દ્રીય કેબીનેટની બેઠક સમક્ષ આવી હતી પરંતુ નિર્ણય પાછળ ઠેલવવામાં આવ્યો હતો. હવે 15મી ઓગષ્ટે વડાપ્રધાન લાલ કિલ્લા ઉપરથી લોકસભાની ચૂંટણી પહેલાનું અંતિમ પ્રવચન કરશે ત્યારે આ લોકલોભામણી જાહેરાત કરે તેવી શકયતા છે. કેન્દ્રીય પર્સોનલ, પબ્લીક ગ્રીવન્સીસ અને પેન્શન બાબતોના મંત્રાલયે સરકારી કર્મચારીઓની નિવૃતિ વયમર્યાદા 60 વર્ષથી વધારીને 62 વર્ષ કરવા અંગેની દરખાસ્ત કરી છે તેવું ટોચના વર્તુળોએ જણાવ્યું છે.
નોંધનીય છે કે ભારતમાં કેન્દ્ર સરકારના 50 લાખથી વધારે કર્મચારીઓ છે. છેલ્લે સરકારે કેન્દ્રીય કર્મચારીઓની નિવૃતિ વયમર્યાદા 1998માં 58 વર્ષથી વધારીને 60 વર્ષ કરી હતી. આ નિર્ણય નાણાકીય બોજો હળવો કરવા લેવાયો હતો. નિવૃતિ વયમર્યાદા વધારવાથી સરકારની પેન્શન ચૂકવણીની જવાબદારી હાલ પુરતી ટળી ગઇ છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં પ્રોફેસરોની નિવૃતિ વયમર્યાદા તાજેતરમાં વધારીને 65 વર્ષ કકરવામાં આવી છે. ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસના મહામંત્રી ડી એલ સચદેવે જણાવ્યું છે કે અમે નિવૃતિ વયમર્યાદા વધારવાના નિર્ણયનો વિરોધ કરશું. કારણ કે નિવૃતિ વયમર્યાદા વધારવામાં આવશે તો યુવાનોને સૌથી વધુ નુકસાન થશે.