સરકારે ખોદકામમાંથી નહીં સ્વીસ બેંકમાંથી નાણું લાવે : મોદી
ચેન્નાઇ, 18 ઓક્ટોબર : ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી 2014ને ધ્યાનમાં રાખીને શરૂ કરેલા પ્રચાર અંતર્ગત આજે ચેન્નાઇમાં વિશાળ રેલીને સંબોધતા કોંગ્રેસની નિષ્ફળતાઓ પર નિશાન તાકતા જણાવ્યું હતું કે કેન્દ્રની યુપીએ સરકારે સમગ્ર વિશ્વમાં ભારતની મજાક ઉડાવી છે. સરકારે કોઇના કહેવા પર સોનાને ખોદવા માટે મોટી ટીમ એક ગામમાં મોકલી આપી છે, પણ સરકાર સ્વીસ બેંકોમાં પડેલા 1000 ટન સોના કરતા પણ વધારે મૂલ્યનું નાણુ પાછું લઇ આવવા માટે કેમ કોઇ ટીમ ત્યાં મોકલતી નથી.
તેમણે જણાવ્યું કે સરકારે સોનાના ખોદકામને બદલે સ્વીસ બેંકમાં દેશના લુંટારાઓ દ્વારા છુપાવવામાં આવેલું અબજોનું નાણું પાછું લાવવાની દિશામાં પ્રયત્ન કરવો જોઇએ. તેમણે તમિલનાડુ સરકારને એવો વિશ્વાસ પણ આપ્યો કે જો કેન્દ્રમાં ભાજપની સરકાર બનશે તો અમે તમિલનાડુના લોકોના સપના પૂરાં કરવામાં કોઇ કસર બાકી રાખીશું નહીં.
નરેન્દ્ર મોદીએ ચેન્નાઇની જનસભામાં પોતાના ભાષણની શરૂઆત વર્તમાન સમયમાં દેશની સૌથી ચર્ચિત ઘટનાનો ઉલ્લેખ કરીને કરી હતી. તેમણે આ માટે ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં 1000 ટના સોનાના ખોદકામની પ્રક્રિયાનો ઉલ્લેખ કરીને કરી હતી.
આ સાથે મોદીએ એમ પણ જણાવ્યું કે તાજેતરમાં આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં આવેલું વાવાઝોડું શા માટે ખાસ મોટી તબાહી ફેલાવી ના શક્યું. તેમણે આ પાછળનું કારણ જણાવતા કહ્યું કે દેશમાં પરિવર્તનનું વાવાઝોડું ફૂંકાયું હોવાના કારણે આવા વાવાઝોડા દેશનું કશું જ બગાડી શકે એમ નથી. આ પરિવર્તન દેશની સ્થિતિ બદલી નાખશે.