ગુજરાતમાં મહિલા જાસૂસી કેસમાં કેન્દ્ર તપાસ પંચ રચવાની તૈયારીમાં
નવી દિલ્હી, 25 ડિસેમ્બર: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ખાસ અને ગુજરાતના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી અમિત શાહના ઇશારા પર ગુજરાતમાં કથિતરીતે એક મહિલાની જાસૂસી માટે કેન્દ્ર એક તપાસ પંચ બેસાડી શકે છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયે મામલાની તપાસ હાઇકોર્ટના કોઇ સેવારત અથવા નિવૃત્ત ન્યાયાધીશ પાસે કરાવવા માટેનો એક પરિપત્ર પર તૈયાર કરી લીધો છે જેને મંજૂરી માટે કેન્દ્રીય કેબિનેટ સમક્ષ મૂકવામાં આવશે.
ગૃહમંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે 'અમે ઉપરથી લીલી ઝંડી મળવાની રાહ જોઇ રહ્યા છીએ, એકવાર ઉપરથી પરવાનગી મળી ગયા બાદ અમે તેની મંજૂરી માટે કેબિનેટ મંત્રાલય પાસે જઇશું.'
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે પણ આ મામલે એક તપાસ સમિતિ બેસાડી છે, જે આ કેસમાં તપાસ કરી રહી છે. આ આખી જાસૂસી ટેપને બહાર લાવનાર કોબરા પોસ્ટે વધુ એક દાવો કર્યો હતો કે તેઓ અન્ય ઘણી આવી ટેપ બહાર લાવી શકે છે, જેના થકી નરેન્દ્ર મોદીને નિકટના ભવિષ્યમાં મુશ્લેલીનો સામનો કરવો પડી શકે છે.