કોણ બનશે ગુજરાતના મુખ્યમંત્રી? અરુણ જેટલી કરશે નિર્ણય!
ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં મત ગણતરી પૂર્ણ થયા બાદ ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય ગુજરાતમાં અરુણ જેટલી નક્કી કરશે મુખ્યમંત્રી પદના દાવેદાર આ અંગે વધુ વાંચો અહીં...
ગુજરાત વિધાનસભા ચૂંટણી અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે શાનદાર વિજય મેળવ્યો છે. હવે આ બંને રાજ્યોમાં મુખ્યમંત્રી કોઇ બનશે એની અટકળો શરૂ થઇ ગઇ છે. સોમવારે સાંજે ભાજપની સંસદીય બોર્ડની બેઠક મળી હતી. આ બેઠક બાદ કેન્દ્રિય મંત્રી જે.પી.નડ્ડાએ જણાવ્યું હતું કે, બેઠકમાં બોર્ડે પરિણામો પ્રત્યે સંતોષ જાહેર કર્યો છે. બંને રાજ્યોમાં મુખ્યમંત્રી કોણ બનશે એ સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, સંસદીય બોર્ડની બેઠકમાં નાણાં મંત્રી અરુણ જેટલી અને સરોજ પાંડેને ગુજરાતમાં મુખ્યમંત્રી પસંદ કરવા માટે સુપરવાઇઝર નિયુક્ત કરવામાં આવ્યા છે.

તેમણે આગળ કહ્યું કે, હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી કોણ બનશે એ માટે રક્ષા મંત્રી નિર્મલા સીતારમન કેન્દ્રિય મંત્રી તોમર સુપરવાઇઝર નિયુક્ત કરવામાં આવ્યા છે. આ તમામ સુપરવાઇઝર આવતી કાલે રાજ્યોમાં જઇ પાર્ટીના ભાવિ મુખ્યમંત્રી અંગે ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે, પહેલા કહેવાઇ રહ્યું હતું કે, જો ભાજપને બહુમત મળશે તો મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલને પુનરાવર્તિત કરવામાં આવે એવી શક્યતા છે. જો કે, ચૂંટણી પરિણામોમાં ભાજપને 100થી પણ ઓછી 99 બેઠકો મળી છે, આથી હવે ભાજપ દ્વારા શું નિર્ણય લેવામાં આવશે એ ચર્ચાનો વિષય છે. તો બીજી બાજુ હિમાચલ પ્રદેશમાં ભાજપે પ્રેમ કુમાર ધૂમલને મુખ્યમંત્રીના દાવેદાર તરીકે રજૂ કર્યા હતા, પરંતુ ચૂંટણીમાં પ્રેમ કુમાર ધૂમલે હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. આથી પક્ષ હવે હિમાચલ પ્રદેશ માટે પણ નવા ચહેરની શોધમાં છે.












Click it and Unblock the Notifications
