જ્ઞાનવાપી મામલે આજે વારાણસી કોર્ટમાં મહત્વની સુનાવણી, આખા વિસ્તારમાં કલમ 144 લાગુ
જ્ઞાનવાપી મસ્જિદ-શ્રૃંગાર ગૌરી કેસ પર આજે વારાણસી કોર્ટનો ચુકાદો આવશે
વારાણસીઃ જ્ઞાનવાપી મસ્જિદ-શ્રૃંગાર ગૌરી કેસ પર આજે વારાણસી કોર્ટનો ચુકાદો આવશે. જ્ઞાનવાપી કેમ્પસમાં આવેલ મા શૃંગાર ગૌરીના નિયમિત દર્શન આરાધના મામલે સોમવારે જિલ્લા કોર્ટ પોતાનો નિર્ણય આપશે. સોમવારે જિલ્લા અદાલતના આદેશ પહેલા વારાણસીમાં પ્રતિબંધક આદેશો (કલમ 144) લાદવામાં આવ્યા હતા અને સુરક્ષા કડક કરવામાં આવી હતી. જિલ્લા ન્યાયાધીશ એકે વિશ્વેશે ગયા મહિને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ કેસમાં 12 સપ્ટેમ્બર સુધી આદેશ અનામત રાખ્યો હતો.
પોલિસ કમિશનર એ સતીશ ગણેશે રવિવારે જણાવ્યુ હતુ કે વારાણસી કમિશનરેટમાં પ્રતિબંધિત આદેશો જાહેર કરવામાં આવ્યા છે અને અધિકારીઓને શાંતિ જાળવવા માટે તેમના સંબંધિત વિસ્તારોમાં ધાર્મિક નેતાઓ સાથે વાતચીત કરવાનુ કહેવામાં આવ્યુ છે. જ્ઞાનવાપી શૃંગાર ગૌરી ટ્રાયલ મેન્ટેનેબલ છે કે નહિ તે અંગે કોર્ટ પોતાનો ચુકાદો આપશે. તમને જણાવી દઈએ કે આ મામલો દેશભરમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે.
પોલીસ કમિશનરે જણાવ્યુ હતુ કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સમગ્ર શહેરને સેક્ટરમાં વિભાજિત કરવામાં આવ્યુ છે જેમાં જરૂરિયાત મુજબ પોલિસ ફોર્સ ફાળવવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને ફૂટ માર્ચ કરવા માટે પણ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. જિલ્લાના સરહદી વિસ્તારો, હોટેલો અને ગેસ્ટ હાઉસોમાં ચેકિંગ સઘન બનાવવામાં આવ્યુ છે જ્યારે સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે.
પાંચ મહિલાઓએ હિંદુ દેવી-દેવતાઓની દરરોજ પૂજા કરવાની પરવાનગી માંગતી અરજી દાખલ કરી હતી જેમની મૂર્તિઓ જ્ઞાનવાપી મસ્જિદની બહારની દિવાલ પર સ્થિત છે. અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટીએ કહ્યુ છે કે જ્ઞાનવાપી મસ્જિદ વકફ મિલકત છે અને અરજીની સુનાવણી પર સવાલ ઉઠાવ્યા છે.
હિન્દુ પક્ષના વકીલ મદન મોહન યાદવે કહ્યુ હતુ કે મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જિલ્લા કોર્ટ આ મામલે સુનાવણી કરી રહી છે. આ પહેલા ટ્રાયલ કોર્ટે જગ્યાના વીડિયોગ્રાફી સર્વેનો આદેશ આપ્યો હતો.