હરીશ રાવત બનશે આજે ઉત્તરાખંડના મુખ્યમંત્રી!
દહેરાદુન, 1 ફેબ્રુઆરી: ઉત્તરાખંડના મુખ્યમંત્રી વિજય બહુગુણાએ શુક્રવારે પોતાના પદેથી રાજીનામું આપી દિધું. નવા નેતાની પસંદગી આજે કોંગ્રેસ વિધાનસભા દળની થનારી બેઠકમાં કરવામાં આવશે. ત્યારબાદ શપથ ગ્રહણ આયોજિત કરવામાં આવશે. મળતી માહિતી મુજબ આજે દસ વાગે પાર્ટીના ધારાસભ્યોની બેઠક યોજાશે અને આજે બપોરે 3 વાગે મુખ્યમંત્રી શપથ લેશે.
રાજભવનમાં રાજ્યપાલ અજીજ કુરૈશીને રાજીનામું સોંપ્યા બાદ વિજય બહુગુણાએ સંવાદદાતાઓને જણાવ્યું હતું કે નવા મુખ્યમંત્રી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિર્દેશાનુસાર પસંદ કરવામાં આવશે. જે પણ મુખ્યમંત્રીનું પદ સંભાળશે તેને તેમની શુભેચ્છાઓ છે.
કેન્દ્રિય મંત્રી ગુલાબ નબી આઝાદ, કોંગ્રેસ મહાસચિવ જનાર્દન દ્રિવેદી અને અંબિકા સોની કેન્દ્રિય સુપરવાઇઝર તરીકે આજે દહેરાદુન પહોંચી રહ્યાં છે. પાર્ટી મહાસચિવ અંબિકા સોની પાર્ટીમાં ઉત્તરાખંડ મુદ્દાઓના પ્રભારી પણ છે.
આ દરમિયાન એવા સંકેત છે કે રાજ્યના મુખ્યમંત્રી પદની દોડમાં કેન્દ્રિય મંત્રી હરિશ રાવત સૌથી આગળ છે. પાર્ટી હાઇકમાન્ડે તેમના નામ પર મોહર લગાવી દિધી છે ફક્ત આજે ઔપચારિક એલાન બાકી છે. જો કે ખાદ્ય તથા નાગરિક આપૂર્તિ મંત્રી પ્રીતમ સિંહ અને નાણાં મંત્રી ઇન્દિરા હદ્યેશના નામની પણ ચર્ચા છે. પ્રીતમ સિંહ હરિશ રાવત ખેમાના હોવાનું કહેવામાં આવે છે.
ચર્ચા થઇ રહી છે કે જો હરિશ રાવત વિરૂધ જૂથ તેમને સ્વિકાર કરવાની મનાઇ કરી દે છે તો પ્રીતમ સિંહ 'સમજૂતીવાળા ઉમેદવાર' તરીકે સામે આવી શકે છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૂત્રોએ જણાવ્યું હતું કે વિજય બહુગુણાના સ્થાને હરિશ રાવતનું સ્થાન લગભગ નક્કી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જૂનમાં ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને અચાનક આવેલા પૂરથી હજારો લોકોના મોત નિપજ્યાં હતા. આ કુદરતી આફતના સંદર્ભમાં વિજય બહુગુણાના નેતૃત્વમાં કૌશલને લઇને પ્રશ્નો ઉદભવી રહ્યાં હતા અને મહિનાઓથી અટકળો ચાલી રહી હતી કે તેમને મુખ્યમંત્રી પદેથી દૂર કરવામાં આવે.
કુલ 22 મહિના સુધી પદ રહ્યાં બાદ વિજય બહુગુણાની રવાનગીને પાર્ટીના મજબૂત નેતૃત્વમાં લોકસભાની ચૂંટણી લડવાના પગલાં તરીકે જોવામાં આવે છે. રાજ્યમાં લોકસભાની પાંચ સીટો છે.