હરીશ રાવતની કેપ્ટનને સલાહ, ખેડૂત વિરોધી ભાજપના મદદગાર ન બનો!
પંજાબ કોંગ્રેસમાં બબાલ વચ્ચે પંજાબના પ્રભારી હરીશ રાવતે કેપ્ટન અમરિંદર સિંહ પર નિશાન સાધ્યું છે. પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે શુક્રવારે કહ્યું કે, કેપ્ટને ફરી એક વખત પોતાના દૃષ્ટિકોણ પર વિચાર કરવો જોઈએ.
નવી દિલ્હી, 01 ઓક્ટોબર : પંજાબ કોંગ્રેસમાં બબાલ વચ્ચે પંજાબના પ્રભારી હરીશ રાવતે કેપ્ટન અમરિંદર સિંહ પર નિશાન સાધ્યું છે. પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે શુક્રવારે કહ્યું કે, કેપ્ટને ફરી એક વખત પોતાના દૃષ્ટિકોણ પર વિચાર કરવો જોઈએ. હરીશ રાવતે કહ્યું છે કે કેપ્ટન અમરિંદર સિંહે ખેડૂત વિરોધી ભાજપના મદદગાર ન બનવું જોઈએ. આ સાથે તેમને પાર્ટી સાથે ઉભા રહેવાની અપીલ કરી હતી.
મીડિયાને સંબોધતા પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે શુક્રવારે કહ્યું કે, કેપ્ટન અમરિંદર સિંહનું કોંગ્રેસ દ્વારા અપમાન કરવામાં આવ્યું હોવાના અહેવાલોમાં કોઈ તથ્ય નથી. કેપ્ટનના તાજેતરના નિવેદનો પરથી લાગે છે કે તે કોઈ પ્રકારના દબાણમાં છે. તેઓએ પુનર્વિચાર કરવો જોઈએ અને સીધી કે આડકતરી રીતે ભાજપને મદદ ન કરવી જોઈએ. તેમણે કહ્યું કે કેપ્ટન અમરિંદરે સીધી કે આડકતરી રીતે ભાજપને મદદ ન કરવી જોઈએ.
હરીશ રાવતે કહ્યું કે કોંગ્રેસે અત્યાર સુધી જે પણ કર્યું છે તે કેપ્ટન અમરિંદર સિંહના સન્માન અને ગૌરવને બચાવવા માટે જ કર્યુ છે. આ સિવાય 2022 ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની જીતની શક્યતા વધારવા માટે નિર્ણયો લેવામાં આવ્યા છે. હું ફરીથી કહેવા માંગુ છું કે કેપ્ટન અમરિંદર સિંહે અત્યાર સુધી જે કહ્યું છે તેના પર ફરી વિચાર કરવો જોઈએ,ભાજપ ખેડૂત વિરોધી પાર્ટી છે.
રાવતે વધુમાં કહ્યું કે ભાજપ અમરિંદર સિંહને મુખવટા તરીકે વાપરવા માંગે છે. કેપ્ટન ભાજપનો હાથો ન બનો. કેપ્ટન અમરિંદર સિંહની આ અગ્નિપરીક્ષા છે. કેપ્ટને આ સમયે સોનિયા ગાંધી સાથે ઉભા રહેવાનું છે. કોંગ્રેસી નેતાએ દાવો કર્યો કે અમરિંદર સિંહને બે વખત સીએમ બનાવનાર કોંગ્રેસે તેમનું ખૂબ સન્માન કર્યું છે. રાવતે વધુમાં જણાવ્યું હતું કે અમરિંદરને બે વખત ફોન કરીને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કેપ્ટન અમરિંદર સિંહ માટે અમિત શાહને મળવું સારું નથી. અમરિંદર સિંહ વિરોધીઓનો હાથો બની રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ બાદ કેપ્ટન અમરિંદર સિંહની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ સાથેની બેઠક નવા સમીકરણો સર્જી રહી છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસથી નારાજ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ટૂંક સમયમાં જ પોતાની નવી પાર્ટીની જાહેરાત કરી શકે છે. અહેવાલ છે કે આગામી 15 દિવસમાં કેપ્ટન મોટો નિર્ણય લઈ શકે છે. સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમનો ઉદ્દેશ ત્રણ નવા કૃષિ કાયદા રદ કરવાનો રહેશે. અહેવાલ છે કે કોંગ્રેસના ઘણા નેતાઓ પૂર્વ મુખ્યમંત્રીના સંપર્કમાં છે.