આખા દિવસના રાજકીય નાટક બાદ પોલીસે કરી લીધી ઓવૈસીની ધરપકડ
દિવસના અંતે જ્યારે ઓવૈસીના તબીબી રીપોર્ટ આવ્યા તેમાં તેઓ પૂછપરછ માટે સક્ષમ નથી તેવું તબીબી રીપોર્ટમાં ડોક્ટરોએ જણાવ્યું હતું. રાજીવ ગાંધી હોસ્પિટલમાંથી જ્યારે તેમને ડિસચાર્જ કરીને બહાર લાવવામાં આવી રહ્યા હતા. ત્યારે તેમના હજારો સપોટર્સે તેમની ધરપકડ માટે વિરોધ નોંધાવ્યો હતો. બાદમાં પોલીસે લાઠીચાર્જ કરીને ભીડને દૂર કરી હતી. ઓવૈસીની 121 અને 153 એ અંતર્ગત બીનજામીની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ તપાસથી બચવા ઓવૈસીએ કર્યું તબીબી તપાસનું નાટક
ભડકાઉ ભાષણ મામલે અકબરૂદ્દીન ઓવૈસી મંગળવારે પોલીસની નોટિસ બાદ મેડિકલ ચેકઅપ માટે રાજીવ ગાંધી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જોકે પોલીસે તેમને 10.30 વાગ્યે મેડિકલ ચેકઅપ માટે પહુંચવાની નોટિસ મોકલી હતી. આ પહેલા સોમવારે ઓવૈસી ખરાબ સ્વાસ્થ્યનો હવાલો આપીને પોલીસ તપાસમાંથી બચી ગયા હતા.
ઓવૈસીના વકિલે તેમની તબિયત નાદુરસ્ત હોવાનો હવાલો આપીને પોલીસ પાસે ચાર દિવસનો સમય માંગ્યો હતો. એમઆઇએમના વિધાયક અકબરૂદ્દીન ઓવૈસી પર ભડકાઉ ભાષણ આપવાનો આરોપ છે. અદીલાબાદ અને નિઝામાબાદ પોલીસે આ સંબંધે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
જોકે ભડકાઉ ભાષણ કર્યા બાદ ઓવૈસી લંડન પ્રવાસે હોવાથી તેમની સામે પોલીસ કાર્યવાહી કરાઇ શકાઇ ન્હોતી. પરંતુ સોમવારે ઓવૈસી જ્યારે લંડનથી પાછા ફર્યા ત્યારે પણ પોલીસે તેમની સામે કાર્યવાહી કરી નહી.
ઓવૈસીએ મોદી અને હિન્દુ પર કર્યું હતું ભાષણ
ભાજપના પ્રવક્તા પ્રકાશ જાવડેકરે આ અંગે જણાવ્યું કે 'આ ખુબ જ શરમજનક બાબત છે કે આંધ્ર પ્રદેશની કોંગ્રેસ સરકાર તેમની સામે કાર્યવાહી કરવાને બદલે તેમનું એક હીરોની જેમ સ્વાગત કરી રહી છે.'
જાવડેકરે જણાવ્યું કે 'કાયદા પ્રમાણે જેવા તેઓ લંડનથી પાછા ફરે છે તેવી જ તેમની ધરપકડ થવી જોઇતી હતી પરંતુ લોકો તેમનું હીરોની જેમ સ્વાગત કરે છે અને પોલીસ કોઇ કાર્યવાહી કરતી નથી. પહેલા તેમની ધરપકડ થવી જોઇએ, બાદમાં તેમને તબીબી તપાસ માટે પોલીસ પ્રોટક્શનમાં હોસ્પિટલ લઇ જવા જોઇએ. પરંતુ કોંગ્રેસ સરકારના નેતૃત્વમાં ઓવૈસી હોસ્પીટલમાં પહોચે છે અને પોલીસ તેમની ધરપકડ કરતી નથી. ભાજપનું સ્પષ્ટપણે માનવું છે કે સરકાર તાત્કાલિક ધોરણે ઓવૈસીની ધરપકડ કરે અને તેમણે જે કઇપણ ભાષણ કર્યું છે તેની તપાસ કરે.'
ઉલ્લેખન્નીય છે કે ઓવૈસીના હોસ્પિટલમાં અત્યાર સુધી 11 જેટલા મેડિકલ ટેસ્ટ થઇ ચૂક્યા છે અને હજી પણ મેડિકલ તપાસનું નાટક ચાલી રહ્યું છે. પરંતુ પોલીસ દ્વારા કોઇ પગલા ભરવામાં આવી રહ્યા નથી.