હું ભાજપ સાથે હાથ મિલાવત તો મારો પરિવાર મને છોડી દેતઃ કુમારસ્વામી
સીએમ કુમારસ્વામીએ કહ્યુ કે તેમના પિતા અને પૂર્વ પીએમ એચડી દેવગૌડાએ કહ્યુ હતુ કે જો તે ભાજપ સાથે હાથ મિલાવત તો આખો પરિવાર તેમને છોડી દેત.
કર્ણાટક વિધાનસભામાં આજે જેડીએસ અને કોંગ્રેસ સરકાર માટે ઘણો મોટો દિવસ છે. બંને પક્ષો ગઠબંધન સરકારનું આજે વિધાનસભામાં બહુમત પરીક્ષણ છે. સીએમ કુમારસ્વામીએ વિધાનસભામાં વિશ્વાસનો મત રજૂ કર્યો છે. વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યા બાદ સીએમ કુમારસ્વામીએ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ, મલ્લિકર્જૂન ખડગેનો આભાર માન્યો. વળી, તેમણે કહ્યુ કે તેમના પિતા અને પૂર્વ પીએમ એચડી દેવગૌડાએ કહ્યુ હતુ કે જો તે ભાજપ સાથે હાથ મિલાવત તો આખો પરિવાર તેમને છોડી દેત.
નોંધનીય છે કે થોડી વાર પહેલા જ કોંગ્રેસ ધારાસભ્ય કેઆર રમેશ કુમારને વિધાનસભાના સ્પીકર ચૂંટવામાં આવ્યા. મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી, વિપક્ષના નેતા બીએસ યેદુરપ્પા, ઉપમુખ્યમંત્રી જી પરમેશ્વર અને પૂર્વ સીએમ સિદ્ધારમૈયાએ નવા વિધાનસભા સ્પીકરનું સ્વાગત કર્યુ. વિધાનસભાની કાર્યવાહી શરૂ થતા પહેલા સીએમે કહ્યુ હતુ કે વિધાનસભામાં થનારા ફ્લોર ટેસ્ટની તેમને કોઈ ચિંતા નથી તેઓ સરળતાથી બહુમત મેળવી લેશે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 12 મે ના રોજ હતુ મતદાન
ઉલ્લેખનીય છે કે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 12 મે ના રોજ મતદાન થયુ હતું જ્યારે 15 મે ના રોજ પરિણામો આવ્યા હતા. જેમાં 104 સીટો જીતીને ભાજપ સૌથી મોટો પક્ષ બન્યુ હતુ. જ્યારે કોંગ્રેસને 78 સીટો અને જેડીએસને 37 સીટો મળી હતી. આ ચૂંટણીમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમત મળ્યો નથી. જેના કારણે ભાજપે સૌથી મોટો પક્ષ હોવાનો દાવો કરીને સરકાર બનાવી લીધી હતી. પરંતુ સીએમ યેદુરપ્પાએ બહુમત ન હોવાને કારણે ફ્લોર ટેસ્ટ પહેલા જ સીએમ પદેથી રાજીનામુ આપી દીધુ હતુ. ત્યારબાદ હવે જેડીએસ અને કોંગ્રેસ મળીને સરકાર બનાવવા જઈ રહી છે.