હિમાચલમાં PM: મને લાગે છે કે, કોંગ્રેસ લાફીંગ ક્લબ બની ગઇ છે
હિમાચલ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પણ પુરા જોશથી ચાલી રહી છે. ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલમાં સભાનું સંબોધન કર્યુ હતું. આ અંગે વધુ વાંચો અહીં.
ગુજરાત ઉપરાંત હિમાચલ પ્રદેશમાં ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઇ ગયું છે. ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમચાલ પ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. તેઓ ગુરૂવારે રાજ્યમાં બે રેલીનું સંબોધન કરનાર છે અને સાંજે ત્રણ કલાક માટે ગુજરાતની મુલાકાત લેશે. હિમાચલ પ્રદેશમાં નાહન રેલીનું સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તમે 9મી તારીખે તમારી પસંદની સરકાર પસંદ કરનાર છો. જેમણે હિમાચલ પ્રદેશને લૂંટ્યુ છે, તેમની વિદાયનો પ્રસંગ છે 9મીએ. હિમાચલની સરકારે 5 રાક્ષસોને મોટા થવાની તક આપી છે અને તેઓ એટલા શક્તિશાળી છે કે શિમલાની સરકારને પોતાના ઇશારે નચાવે છે.
કોંગ્રેસના 5 રાક્ષસ
પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કરતાં કહ્યું કે, આ 5 રાક્ષસ કોંગ્રેસે પાળ્યા છે. પહેલો રાક્ષસ છે માઇનિંગ માફિયા, બીજો વન માફિયા, ત્રીજો ડ્રગ માફિયા, ચોથો ટેન્ડર માફિયા અને પાંચમો દાનવ ટ્રાન્સફર માફિયા. તેમણે આગળ કહ્યું, જે કાંગડાથી જીતે છે, હિમાચલમાં તેની સરકાર બને છે. આ ચૂંટણીમાં આઝાદી માટે ત્યાગ આપનારા મહાપુરૂષોને યાદ કરશો તો સાચું બટન દબાશે. જ્યારે પાર્ટીએ મને પ્રચાર કરવા માટે કહ્યું, તો મેં કહ્યું કે, હિમાચલ તો જીતવાના છો, પછી મને કેમ દોડાવો છો?
કોંગ્રેસ પક્ષ લાફીંગ ક્લબ
કોંગ્રેસના ઘોષણાપત્રની મજાક ઉડાવતાં પીએમ મોદીએ કહ્યું કે, ભ્રષ્ટાચાર પર ઝીરો ટોલરેન્સની વાત કરતા કોંગ્રેસની વાત હિમાચલનું બાળક પણ નહીં માને. મને એવું લાગે છે, જાણે કોંગ્રેસ પાર્ટી લાફીંગ ક્લબ બની ગઇ છે. જામીનવાળા મુખ્યમંત્રી મેનિફેસ્ટોમાં કહી રહ્યાં હતા કે, ભ્રષ્ટાચાર તરફ ઝીરો ટોલરન્સ હશે. જો ભૂલ થાય તો દેશ માફ કરે છે, પરંતુ ઇરાદો જ ખોટો હોય તો આ દેશ કોઇને માફ નથી કરતો.
કોંગ્રેસની સડેલી વિચારસરણી
કોંગ્રેસને કાશ્મીરના મુદ્દે ઘેરતા મોદીએ કહ્યું કે, પાકિસ્તાન પાસે પ્રેરણા લઇને કામ કરતા અલગાવવાદી કહે છે કે, કાશ્મીરને આઝાદ કરો અને અહીં આપણા જવાનો મૃત્યુ પર્યંત કાશ્મીરની સુરક્ષામાં લાગેલા રહે છે. કોંગ્રેસ પાર્ટીના નેતા કહે છે કે, કાશ્મીરની આઝાદીની માંગણી સાચી છે. આ કોંગ્રેસ પાર્ટીની વિચારસરણી નહીં, પરંતુ સડી ગયેલ વિચારસરણીનું ઉદાહરણ છે. પંડિત નેહરુની સરકાર સમયે જનસંઘનો જન્મ થયો હતો, તેઓ કહેતા હતા કે, અમે જનસંઘને જડ-મૂળથીમાં ઉખાડીને ફેંકી દઇશું.