હિઝબુલ મુજાહિદ્દીને સ્વીકારી શ્રીનગર હુમલાની જવાબદારી

હિઝબુલ મુજાહિદ્દીનના પ્રવક્તા બાલીગૂદ્દીને કાશ્મીર ન્યૂઝ સર્વિસને ફોન કરીને આ હુમલાની જવાબદારી સ્વીકારી લીધી છે. તેણે ફોન પર જણાવ્યું કે 'આ ગેરિલા એટેક હતો, અને હિઝબુલના સિપાહીઓ આ પ્રકારના હુમલાઓ ભવિષ્યમાં પણ કરતા રહેશે.'
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીનગરમાં બેમિના વિસ્તારમાં આવેલી પોલીસ પબ્લિક સ્કૂલની બહાર લાગેલા સીઆરપીએફના બંકરો પર બે આતંકવાદીઓએ અચાનક હુમલો કર્યો હતો. હિઝબુલ મુજાહિદ્દીનના આ બે આતંકવાદીઓ ક્રિકેટ કિટની અંદર બંદુકો અને હથિયારો લઇને આવ્યા હતા. સ્કૂલની બાજુના મેદાનમાં કોઇને પણ ક્રિકેટ રમવાની પરવાનગી છે, જેનો આતંકીઓએ લાભ ઉઠાવ્યો. આતંકીઓ પહેલા બાળકો સાથે ક્રિકેટ પણ રમ્યા અને તક મળતા આરમી જવાનો પર હુમલો કરી દીધો.
ગૃહમંત્રીએ શું કહ્યું:
આ હુમલા પર ભારતના કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું છે કે પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા એવું લાગે છે કે આ બંને આતંકવાદીઓ સરહદ પાર પાકિસ્તાનમાંથી આવ્યા હતા. જોકે આ હુમલામાં બંનેને ઠાર મરાયા છે. જ્યારે પાંચ જવાનો શહીદ થયા છે.
શું કહ્યું મુખ્યમંત્રીએ:
આ હુમલા અંગે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વિધાનસભામાં આ અંગે માહિતી આપતા જણાવ્યું કે બેમિના પોલીસ પબ્લિક સ્કૂલ પાસેના સીઆરપીએફ બેન્કરમાં બે ફિદાઇન ઘુસી ગયા હતા. આ ફિદાઇન હુમલો હતો. બંને આતંકીઓને જવાનોએ ઠાર માર્યા છે જ્યારે આ ફાયરિંગમાં સીઆરપીએફના પાંચ જવાનો શહિદ થયા છે અને 7 જવાનો ઘાયલ થયા છે. તેમણે જણાવ્યું કે આ અંગે વધુ માહિતી મળતા હું ગૃહને માહિતગાર કરતો રહીશ.












Click it and Unblock the Notifications
