હનીપ્રીતને આવતી કાલે કોર્ટ સમક્ષ રજૂ કરીશું: પંચકુલા પોલીસ
હનીપ્રીતે પંજાબ પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી. પંચકુલા પોલીસ કમિશ્નરે જણાવ્યું કે, તેને આવતી કાલે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
છેલ્લા લગભગ 38 દિવસોથી ફરાર હનીપ્રીતે આખરે પંજાબ પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી છે. પંજાબ પોલીસે હનીપ્રીતને હરિયાણા પોલીસને સોંપી છે. પોલીસ બુધવારે હનીપ્રીતને કોર્ટ સમક્ષ રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે, હનીપ્રીતે થોડા દિવસો પહેલાં જ દિલ્હી હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ હાઇકોર્ટે હનીપ્રીતની અરજી નકારતા તેને શરણાગતિ સ્વીકારવાની સલાહ આપી હતી. આસઆઈટી પણ હનીપ્રીતને પકડવાની કામગીરીમાં લાગેલી હતી, એ પહેલાં જ હનીપ્રીતે પંજાબ પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી.
We have arrested #Honeypreet and we will produce her in court tomorrow: Panchkula Police Commissioner pic.twitter.com/1Q6jjG0sUD
— ANI (@ANI) October 3, 2017
શરણાગતિ સ્વીકારતા પહેલાં મીડિયામાં હનીપ્રીતનો એક ઇન્ટરવ્યુ પણ આવ્યો હતો, જેમાં તેણે દાવો કર્યો હતો કે તે અને તેના પિતા ગુરમીત રામ રહીમ નિર્દોષ છે તથા તેમની વચ્ચેનો સંબંધ પિતા-પુત્રીનો પવિત્ર સંબંધ છે. લોકો તેમના વિશેની વિચિત્ર અફવાઓ પર વિશ્વાસ ન કરે એવી વિનંતી પણ તેણે કરી હતી. હનીપ્રીતનો આ ઇન્ટરવ્યુ વાયરલ થયા બાદ તે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં અરજી કરે કે શરણાગતિ સ્વીકારે એવી પ્રબળ સંભાવના હતી. પંચકુલાના પોલીસ કમિશ્નરે આ અંગે કહ્યું હતું કે, જો હનીપ્રીત શરણાગતિ સ્વીકારે તો એના માટેની તમામ તૈયારી અમે કરી રાખી છે. હનીપ્રીત પર પંચકુલામાં હિંસા ભડકાવવાનો આરોપ છે અને આ મામલે સેક્ટર-5ના પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. હનીપ્રીત પર આરોપ છે કે, તેણે બળાત્કારના દોષી રામ રહીમને પોલીસ કસ્ટડીમાંથી છોડાવવાનું કાવતરું ઘડ્યું હતું.