હૈદરાબાદ રેપ અને મર્ડર કેસમાં બેદરકારી બદલ 3 પોલીસકર્મી સસ્પેન્ડ
હૈદરાબાદ રેપ અને મર્ડર કેસમાં બેદરકારી બદલ 3 પોલીસકર્મી સસ્પેન્ડ
હૈદરાબાદના બાહરી વિસ્તારમાં એક મહિલા પશુ ચિકિત્સક સાથે ગેંગરેપ અને હત્યાના મામલે બેદરકારી દાખવનાર 3 પોલીસકર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે ત્રણેય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જેમાં એક સબ ઈન્સપેક્ટર છે અને બે કોન્સ્ટેબલ સામેલ છે. જ્યારે આ મામલાના ચારેય આરોપીઓને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. શનિવારે ગુસ્સાયેલ ભીડે પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી લીધો હતો, જ્યાં આરોપીઓને રાખવામાં આવ્યા હતા. ભીડના ઉગ્ર રૂપને જોઈ પોલીસ સ્ટેશને જ કાર્યકારી મેજિસ્ટ્રેટે આદેશ જાહેર કર્યા. ઉપરાંત સ્થાનિક બાર એસોસિએશને આ મામલે આરોપીઓને કોઈ કાનૂની સહાય ના આપવાનો સંકલ્પ લીધો છે.
ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ
મીડિયા રિપોર્ટ્સ મુજબ સસ્પેન્ડ કરાયેલ પોલીસકર્મીઓમાં સબ ઈન્સપેક્ટર રવિ કુમાર, કોન્સ્ટેબલ વેણુગોપાલ રેડ્ડી અને સત્યનારાયણ ગૌડ સામેલ છે. જેમને લાપરવાહી વરતવાના આરોપસર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. શનિવારે પોલીસ સ્ટેશનને ઘેરતી વખતે લોકોના ટોળાંએ પ્રદર્શન કરતાં દોષિઓ વિરુદ્ધ નારેબાજી કરી. ભીડમાં સામેલ કેટલાક લોકોએ આરોપીઓ ભીડને સોંપી દેવાની માંગ કરી. એટલું જ નહિ જ્યારે આરોપીઓને હૈદરાબાદ સ્થિત એક જેલ લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે એક પોલીસ વાહન પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો. જે બાદ ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે બળ પ્રયોગ કરવો પડ્યો. પોલીસે જણાવ્યું કે સવારે પ્રદર્શન થયું હતું જે સાંજ સુધી ચાલ્યું. કેટલાક પ્રદર્શનકારીઓએ આરોપીઓને ફાંસી આપવાની માંગ કરી. વિવિધ વિદ્યાર્થી સમૂહોએ પણ પ્રદર્શન કર્યાં.
આશ્વાસન આપ્યું
તેલંગાણાની રાજ્યપાલ તમિલસાઈ સુંદરરાજન, કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી જી કિશન રેડ્ડી અને અન્ય કેટલાય નેતાઓએ મૃતકના પરિજનો સાથે મુલાકાત કરી. બંનેએ ઘટનાની નિંદા કરતા કહ્યું કે સરકાર તરત તપાસ અને ત્વરિત ફેસલા દ્વારા દોષિઓને કઠોર સજા સંભળાવશે.
પોલીસકર્મી વિરુદ્ધ કાર્યવાહી કરવાની ભલામણ કરી
રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય શ્યામમલા કુંદર ઘટનાની તપાસ માટે અહીં આવ્યાં છે. તેમણે તપાસ બાદ એવા પોલીસકર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની ભલામણ કરી જેમણે મૃતકના પરિજનોની ફરિયાદ પર સમયસર કથિત રીતે હરકતમાં નહોતા આવ્યા. મૃતક ડૉક્ટરની બહેને ફરિયાદ નોંધાવવા માટે પોલીસનો સંપર્ક કર્યો હતો. મૃતકના પરિજનોએ આયોગને કહ્યું કે હૈદરાબાદ પોલીસે કીમતી સમય બરબાદ કર્યો, જેનો ઉપયોગ ડૉક્ટરનો જીવ બચાવવામાં કરી શકાય તેમ હતો.
પોલીસે લાપરવાહી દાખવી
આ દરમિયાન આયોગના અધ્યક્ષ રેખા શર્માએ નવી દિલ્હીમાં કહ્યું કે આયોગની એક ટીમ મૃતકના પરિવાર પાસે ગઈ, જેમણે ટીમને જણાવ્યું કે આ મામલે પોલીસે નકારાત્મક ભૂમિકા ભજવી છે. પરિવારના સભ્યોએ એમ પણ કહ્યું કે પોલીસે આરોપ લગાવ્યો હતો કે તેણી (ડૉક્ટર) કોઈ સાથે ભાગી ગઈછે. રેખા શર્માએ ડૉક્ટર પર રાજ્યના ગૃહ મંત્રી મોહમ્મદ અહમૂદ અલીની ટિપ્પણીની પણ નિંદા કરી અને કહ્યું કે આવા પ્રકારના નેતા આવા પદના હકદાર નથી. મોહમ્મદ મહમૂદ અલીએ એમ કહીને વિવાદ છેડ્યો હતો કે તેણે (મૃતક) તરત પોલીસનો સંપર્ક કેમ નહોતો કર્યો.
ભીડ ઉગ્ર બની
સરકારી હોસ્પિટલમાં કામ કરતી પશુ ચિકિત્સક પર ગુરુવારે રાત્રે શહેરના બાહરી વિસ્તારમાં ચાર લોકોએ બળાત્કાર કર્યો હતો અને બાદમાં તેની હત્યા કરી લાશને સળગાવી દીધી હતી. શુક્રવારે આ મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી.
હૈદરાબાદ રેપ હત્યા બાદ મહિલા પોલિસકર્મીની અપીલ વાયરલ, છોકરીઓ જરૂર વાંચો