ઈથોપિયન પ્લેન ક્રેશઃ શિખાએ પોતાના પતિને આપેલુ એક વચન જે રહી ગયુ અધુરુ
શિખાના લગ્નને ત્રણ મહિના પણ નથી થયા અને ઈથોપિયન ક્રેશે માત્ર એક જીવન નથી ખતમ કર્યુ પરંતુ ઘણા સપના પણ પૂરા થતા પહેલા વિખેરાઈ ગયા.
રવિવારની સવારે ઈથોપિયાથી કેન્યાની રાજધાની નૈરોબી માટે ટેક ઑફ કરનાર ઈથોપિયન એરલાઈનની ફ્લાઈટ ઈટી 302 પ્લેન થોડી જ મિનિટો બાદ ક્રેશ થઈ ગયુ. આ ફ્લાઈટમાં ચાર ભારતીય પણ મુસાફરી કરી રહ્યા હતા. આ ચારમાંથી એક હતા પર્યાવરણ મંત્રાલયમાં સલાહકાર શિખા ગર્ગ. શિખા ગર્ગના પતિને ભરોસો નથી થઈ રહ્યો કે તેમની પત્ની હવે આ દુનિયામાં નથી. શિખાના લગ્નને ત્રણ મહિના પણ નથી થયા અને આ ક્રેશે માત્ર એક જીવન નથી ખતમ કર્યુ પરંતુ ઘણા સપના પણ પૂરા થતા પહેલા વિખેરાઈ ગયા. ઈથોપિયાની રાજધાની અદીસ અબાબાથી નૈરોબી માટે ટેક ઑફ કરનારી આ ફ્લાઈટમાં 35 દેશોના નાગરિક સવાર હતા. દૂર્ઘટનાના થોડા કલાકો બાદ ઑથોરિટીઝે પુષ્ટિ કરી દીધી હતી કે કોઈ પણ જીવતુ બચ્યુ નથી.
પતિના જવાબ આપતા પહેલા ક્રેશ થયુ પ્લેન
32 વર્ષીય શિખા યુનાઈટેડ નેશન્સના એનવાર્યરમેન્ટ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે નૈરોબી જઈ રહી હતી. તેમના લગ્ન સૌમ્ય ભટ્ટાચાર્ય સાથે થયા હતા. બંનેએ 3 વર્ષ ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતા. પતિને પણ નૈરોબી જવાનું હતુ પરંતુ છેલ્લી મિનિટોમાં તેમને કોઈ અર્જન્ટ કામના કારણે પોતાની ટિકિટ કેન્સલ કરાવવી પડી. ગર્ગે પોતાના પતિને મેસેજ કર્યુ, ‘મે બોર્ડ કરી લીધુ છે, લેન્ડ કર્યા બાદ હું તમને કૉલ કરીશ.' પતિ સૌમ્ય હજુ જવાબ નહોતા આપી શક્યા અને ફ્લાઈટ ક્રેશ થવાના સમાચાર તેમની સુધી આવી ગયા.
પેરિસ સમજૂતીમાં શિખાની ભૂમિકા
શિખા અને તેમના પતિ દિલ્લીમાં જ રહે છે. બંનેએ શિખાના નૈરોબીથી આવ્યા બાદ રજા પર જવાનો પ્લાન બનાવ્યો હતો. સોમવારે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વીટ કર્યુ હતુ. એમાં તેમણે લખ્યુ હતુ કે તે શિખા ગર્ગના પરિવારનો સંપર્ક નથી કરી શકતા. આ સાથે તેમણે મદદ માંગી હતી. ત્યારબાદ સુષ્માએ શિખા સાથે જ બાકીના ત્રણ ભારતીયોના પરિવાર સાથે પણ વાત કરી જેમના મૃત્યુ આ પ્લેન ક્રેશમાં થઈ ગયા. શિખા ગર્ગ એ ભારતીય નેગોશિએશન ટીમમાં શામેલ હતા જેણે વર્ષ 2015માં પેરિસમાં થયેલા ક્લાઈમેટ ચેન્જ સમિટ દરમિયાન એક સમજૂતીને અંજામ આપ્યો હતો.
પિતા સાથે પણ વાત કરી હતી શિખાએ
શિખાએ પોતાના પિતા સાથે પણ વાત કરી હતી. તેમને પિતાએ હિંદુસ્તાન ટાઈમ્સને જણાવ્યુ, ‘જે સમયે તે ફ્લાઈટ ચેન્જ કરી રહી હતી તેણે સવારે લગભગ 10.06 મિનિટે મને કૉલ કર્યો હતો.' ઈથોપિયન એરલાઈન્સની ફ્લાઈટ ટેક ઑફની માત્ર છ મિનિટ બાદ જ ક્રેશ થઈ ગયુ હતુ. તેમના પિતા રોહિણીમાં એક જ્વેલરી શૉપ ચલાવે છે. પિતાને યાદ છે કે તેમની દીકરી તેમની સાથે એકદમ સરસ રીતે વાત કરી રહી હતી. પરંતુ અમુક કલાક બાદ તેમના પુત્રએ ઈન્ટરનેટ પર પ્લેન ક્રેશના સમાચાર વાંચ્યા. પિતાને ખબર હતી કે દીકરી એ જ ફ્લાઈટમાં હતી જે ક્રેશ થઈ ચૂકી છે.
ગયા વર્ષે ઈન્ડોનેશિયામાં થઈ હતી આવી દૂર્ઘટના
જે જેટ રવિવારે ક્રેશ થયુ છે તે બોઈંગ 737 મેક્સ હતુ. આ એ જ એરક્રાફ્ટનો એક પ્રકાર હતુ જે ગયા વર્ષે ઓક્ટોબરમાં ઈન્ડોનેશિયામાં ક્રેશ થઈ ગયુ હતુ. આ ઘટનામાં 189 લોકોના મોત થઈ ગયા હતા. આ નવી દૂર્ઘટના બાદ દુનિયાભરની ઘણી એરલાઈન્સે આ જેટનો ઉપયોગ બંધ કરી દીધો છે. ભારતમાં પણ ડીજીસીએ તરફથી ઓર્ડર આપવામાં આવ્યા છે કે આ જેટનું મેઈન્ટેનન્સ ચેક કરવામાં આવે. જો કે તેને ત્વરિત ગ્રાઉન્ડ કરવાની સંભાવનાનો ઈનકાર કરી દીધો છે. ભારતમાં સ્પાઈસ જેટ અને જેટ એરવેઝ આ પ્રકારના 17 પ્લેન ઑપરેટ કરી રહી છે.
આ પણ વાંચોઃ પીએમ મોદીએ ટ્વિટર પર શેર કરેલો ફોટો સોશિયલ મીડિયા પર થઈ ગયો વાયરલ