ISI દાઉદ ઇબ્રાહિમની મદદથી ઘડી રહી છે મોદીને મારવાનું કાવતરું: IB
નવી દિલ્હી, 20 નવેમ્બર: ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની સુરક્ષાને લઇને ગુપ્તચર એજન્સી ઇન્ટેલીજન્સ બ્યૂરોએ એલર્ટ જારી કર્યું છે. એલર્ટમાં આઇબીએ જણાવ્યું છે કે આતંકીઓ મોદી પર વિસ્ફોટકોથી ભરેલી ગાડીથી હુમલો કરી શકે છે. આ એલર્ટ દિલ્હી, રાજસ્થાન, યુપી અને મધ્યપ્રદેશ માટે જારી કરવામાં આવ્યું છે.
આઇબીએ પોતાના એલર્ટમાં જણાવ્યું છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી નરેન્દ્ર મોદીને મારવા માટે દાઉદ ઇબ્રાહિમની મદદ લઇ રહી હોવાનું મનાઇ રહ્યું છે. આઇબીએ જણાવ્યું કે આઇએસઆઇએ દાઉદને ભારતમાં તેનું નેટવર્ક ફરી સક્રિય કરવાનું કહ્યું છે અને મોદીને નિશાનો બનાવવા જણાવ્યું છે. આઇબીએ જણાવ્યું છે કે આઇએસઆઇ ઉપરાંત સાઉદી અરબના આતંકવાદી સંગઠનો પણ મોદીને નિશાના પર લેવાની તાકમાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી હાલમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓના પગલે પોતાના પક્ષ તરફથી જોરદાર ચૂંટણી પ્રસાર કરવામાં લાગ્યા છે. અને એક પછી એક ચૂંટણી રેલીઓનું આયોજન કરી રહ્યા છે. આવામાં તેમની સુરક્ષાના પગલે એજન્સીઓ ખૂબ જ સક્રીય છે.
પટણા બ્લાસ્ટ બાદ ભાજપે પોતાના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને વડાપ્રધાન કક્ષાની સુરક્ષા એનાયત કરવાની માંગ કરી હતી. ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ પણ દરેક રાજ્યોને મોદીની સુરક્ષામાં વધારો કરવા માટે આદેશ આપ્યા હતા.