જમ્મુ અને કાશ્મીરમાં ફરી થઇ શકે આતંકવાદી હુમલા : IB
જમ્મુ -કાશ્મીર, 11 ઓક્ટોબર : ઘાટીમાં અમન અને શાંતિ સ્થપાય તેની રાહ જોઇ રહેલા જમ્મુ અને કાશ્મીરમાં ફરી એક વાર દહેશત ઉભી થવાની શક્યતા છે. દેશની ઇન્ટેલિજન્સ એજન્સી ઇન્ટેલિજન્સ બ્યુરો - આઇબીએ સંભાવના વ્યક્ત કરી છે કે જમ્મુ અને કાશ્મીરમાં ફરી આતંકવાદી હુમલો થઇ શકે છે. આ સ્થિતિને જોતા આઇબીએ એલર્ટ પણ જાહેર કર્યું છે.
ગુપ્તચર એજન્સીએ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓના એક જૂથની ઘૂસણખોરીની શંકા વ્યક્ત કરી છે. આતંકવાદીઓનું આ જૂથ કોઇ મોટી વગદાર વ્યક્તિને નિશાન બનાવી શકે છે. તેઓ સાંબા જેવા અનેક હુમલા કરવાની તૈયારી સાથે ઘૂસ્યા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં લાઇન ઓફ કન્ટ્રોલ - એલઓસી પાસે પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. સુરક્ષાદળોએ આ ધૂસણખોરી અટકાવવા માટે ઘણા પ્રયત્નો કરવા પડી રહ્યા છે. જો કે ભારતીય સેનાનો દાવો છે કે સ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે. બીજી તરફ પાકિસ્તાન તરફથી સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. તેઓ એક તરફ સીઝફાયર કરે છે અને બીજી તરફ ઘૂસણખોરી કરાવે છે.