IBને શંકા, ગણતંત્ર દિવસે યુપીમાં થઇ શકે છે બ્લાસ્ટ
નવી દિલ્હી, 20 જાન્યુઆરી: ઇન્ટેલિજેન્સ બ્યૂરોએ ઉત્તર પ્રદેશમાં આતંકવાદી ખતરાના ભાગરૂપે એક ખાસ ગુપ્ત માહિતી આપી છે. આઇબીએ આશંકા વ્યક્ત કરી છે કે ઇન્ડિયન મુજાહિદ્દીન અને અન્ય સંગઠનો મળીને યુપીમાં બ્લાસ્ટની તૈયારી કરી રહ્યા છે. ગણતંત્ર દિવસ પર રાજ્યમાં આતંકવાદી ભયના પગલે તમામ જોન, રેંજ અને જિલ્લાઓની પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે.
પોલીસને ઇન્ડિયન મુજાહિદ્દીન ના તહસીન અખ્તર ઉર્ફે મોનૂ અને પાકિસ્તાની વકાસથી ખાસ સાવધાન કરવામાં આવ્યા છે. માહિતી છે કે યુપીમાં વિસ્ફોટો કરવાની જવાબદારી આ બંને લોકોને જ સોંપવામાં આવી છે. હાલમાં જ રાષ્ટ્રીય તપાસ એજન્સીની પહેલ પર યુપી પોલીસે 15 આતંકવાદીઓના સ્કેચ તૈયાર કર્યા છે. જેમાં પાંચ આજમગઢ જિલ્લાથી ફરાર આતંકી છે.
પોલીસને શંકા છે કે આતંકવાદી ઘટના માટે આ જિલ્લાઓને આશરા તરીકે ઉપયોગમાં લેવાઇ શકે છે, અપર પોલીસ મહાનિર્દેશક કાનૂન-વ્યવસ્થા મુકુલ ગોયલે તમામ જિલ્લાના પોલીસ પ્રભારીઓ પાસે સુરક્ષાની તૈયારીઓનું નિરિક્ષણ કર્યું છે અને તેમને જરૂરી સૂચના આપી છે. સાથે જ નેપાલ બોર્ડરની તમામ જિલ્લાઓની સીમા પર દેખરેખ વધારી દેવામાં આવી છે.