દૈનિક ભાસ્કર જૂથના પ્રમોટર્સના ઘરે અને ઑફિસમાં આવકવેરા વિભાગની રેડ
દેશની અગ્રણી મીડિયા સંસ્થા દૈનિક ભાસ્કર જૂથના મધ્ય પ્રદેશના ભોપાલમાં અલગ-અલગ જગ્યાએ આવકવેરા વિભાગની ટીમો રેડ પાડી રહી છે.
નવી દિલ્લીઃ દેશની અગ્રણી મીડિયા સંસ્થા દૈનિક ભાસ્કર જૂથના મધ્ય પ્રદેશના ભોપાલમાં અલગ-અલગ જગ્યાએ આવકવેરા વિભાગની ટીમો રેડ પાડી રહી છે. આ રેડ કરની ચોરી મામલે કરવામાં આવી રહી છે. આવકવેરાની ટીમ દૈનિક ભાસ્કર ગ્રુપના પ્રમોટરના ઘરે અને ઑફિસમાં રેડ પાડી રહી છે. નોંધનીય વાત એ છે કે કોરોના કાળમાં દૈનિક ભાસ્કર ગ્રુપે સરકારની નિષ્ફળતાઓ વિશે ખુલીને રિપોર્ટીંગ કર્યુ હતુ. વેક્સીનની કમી, દવાઓ,, ઑક્સિજન, હોસ્પિટલની સ્થિતિ પર દૈનિક ભાસ્કરની ટીમે આગળ વધીને રિપોર્ટીંગ કર્યુ હતુ. દૈનિક ભાસ્કર ગ્રુપના માલિકોના ઘરે પણ રેડ પડી રહી છે.
ભોપાલ સહિત જયપુર, અમદાવાદના કાર્યાલયો પર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ રેડને દિલ્લી અને મુંબઈની ટીમો સંચાલિત કરી રહી છે. રેડની સૂચના બાદ અખબારની ડિજિટલ ટીમો ઘરેથી કામ કરવા માટે કહી દેવામાં આવ્યુ છે. રાજસ્થાન સ્થિત કાર્યાલય પર પણ રેડ પાડવામાં આવી છે. જયપુરમાં જેએલએન માર્ગ સ્થિત મુખ્યાલય પર ટીમ પહોંચી છે. જયપુર હેડ ઓફિસ પર કાર્યવાહી ચાલી રહી છે. અહીં આવકવેરાના લગભગ 35 અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. દૈનિક ભાસ્કર જૂથના દેશભરમાં ફેલાયેલા ઘણા કાર્યાલયો પર આવકવેરા વિભાગે ગુરુવારે મોટાપાયે રેડ પાડી છે. આવકવેરા વિભાગની ઈન્વેસ્ટીગેટીંગ ટીમ પ્રેસ કૉમ્પ્લેક્સ સહિત અડધા ડઝન સ્થળોએ હાજર છે. આ રેડમાં સ્થાનિક પોલિસની પણ મદદ લેવામાં આવી છે.
વિપક્ષે આક્ષેપ કર્યો છે કે સરકારના કોવિડ ગેરવહીવટ અંગેના અહેવાલને કારણે આ જૂથ પર દરોડા પાડવામાં આવ્યા છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વિટ કરીને કહ્યુ કે દૈનિક ભાસ્કરે તેના અહેવાલ દ્વારા મોદી સરકારના કોવિડ-19 મહામારીમાં ગેરરીતિનો પર્દાફાશ કર્યો છે. હવે તેની કિંમત ચૂકવવામાં આવી રહી છે. અરુણ શૌરીએ કહ્યુ કે આ એક ફેરફાર કરેલી કટોકટી છે. ઉલ્લેખનીય છે કે દેશના સૌથી મોટા મીડિયા ગ્રુપમાંનુ એક ભાસ્કર જૂથ એપ્રિલ-મેમાં કોવિડની બીજી લહેર વખતે થયેલ વિનાશના અહેવાલ આપવામાં મોખરે રહ્યુ હતુ. તેના અહેવાલોમાં ઓક્સિજનની અને બેડની કમી તેમજ રસીની સચ્ચાઈ દર્શાવીને સરકારી દાવાઓની ટીકા કરી હતી. અહેવાલોમાં કોવિડ પીડિતોના ગંગા નદીમાં તરતા બિહામણા દ્રશ્યો બહાર આવ્યા હતા.