ભારતની ચેતાવણી બાદ પાકિસ્તાની ગોળીબારી બંધ, બોર્ડર પર સન્નાટો
નવી દિલ્હી, 10 ઓક્ટોબર: ભારતની આકરી ચેતાવણી બાદ બોર્ડર પર પાકિસ્તાની ગોળીબારી ધીમી થઇ ગઇ છે. ગત રાત્રે લગભગ અડધો કલાક સુધી હીરાનગર સેક્ટરમાં ફાયરિંગ થયું. જમ્મૂના સાંબા, આરએસપુરા અને અરનિયા સેક્ટર સહિત બીએસએફની બાકી ચોકીઓ પર ગત રાત્રે ફાયરિંગ ન થયું હોવાના સમાચાર આવ્યા છે.
નાગરિકોની સુરક્ષાને જોતાં જમ્મૂ-કાશ્મીરમાં જમ્મૂ-સાંબા, કઠુઆ અને અખનૂરને અડીને આવેલી આંતરરાષ્ટ્રીય બોર્ડરથી ચાર કિલોમીટરના ઘેરાવામાં આવતા બધા ગામ ખાલી કરાવવામાં આવ્યા છે. જમ્મૂમાં પાકિસ્તાનને અડીને આવેલા આંતરરાષ્ટ્રીય બોર્ડર પર લોકો ગોળીબારીના ભય હેઠળ જીવી રહ્યાં છે. ઘણા ગામ ખાલી થઇ ચૂક્યા છે. સીમાને અડીને આવેલા આરએસપુરાના ઘણા ગામમાં સન્નાટો છવાયેલો છે. લોકો ઘરબાર છોડીને પલાયન કરી રહ્યાં છે. બીએસએફના ડીજી ડીકે પાઠકે ગૃહ સચિવ અનિલ ગોસ્વામીને સોંપેલા રિપોર્ટમાં કહ્યું ''ભારત-પાકિસ્તાન નિયંત્રણને અડીને આવેલા વિસ્તારોની સ્થિતી ખતરનાક છે.''
લાઇન ઓફ કંટ્રોલ એટલે કે LoC થી આવેલ જમ્મૂ-કાશ્મીરનો વિસ્તાર 9 સેક્ટરો- અખનૂર, પલાવાલાન, સુંદરબની, જાંગડ, રાજૌરી, થાનામંડી, મેંઢર, પૂંછ, નૌસેરામાં વહેંચાયેલ છે. પાકિસ્તાન આ વિસ્તારોમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યાં છે.
ભારત-પાકિસ્તાનના વચ્ચે સીમા પર તણાવથી સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ બાનની મૂને ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રે બંને દેશો પાસે શાંતિ અને વાતચીતના માધ્યમથી નિકાલની અપીલ કરી છે.
સતત પાકિસ્તાન ફાયરિંગ વિરૂદ્ધ ભારતે પાકિસ્તાનને પ્રોસ્ટેટ નોટ મોકલી વિરોધ નોંધાવ્યો તો પાકિસ્તાની રેંજર્સે પણ બીએસએફને પ્રોટેસ્ટ નોટ મોકલી. બોર્ડર પર ગોળીબારીને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો. બારામતીની રેલીમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે સીમા પર હુમલા થાય છે તો જવાનોની બંદૂક બોલે છે, તેના રાજકારણ થવું ન જોઇએ.
મહારાષ્ટ્રના બારામતીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતાં કહ્યું ''રાજકિય કાદવ ઉછાળવાનો સમય નથી, નિવેદનબાજીથી જવાનોનો આત્મવિશ્વાસ નબળો પડે છે.''
આ પહેલાં હરિયાણાના રેવાડીની રેલીમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં પૂછ્યું કે પાકિસ્તાનની ફાયરિંગ પર છ દિવસ સુધી નરેન્દ્ર મોદી મૌન કેમ રહ્યાં?
પાકિસ્તાન દ્વારા સતત ચાલુ ફાયરિંગનો જવાબ આપતાં કહ્યું કે બીએસએફે પાકિસ્તાનની 45 ચોકીઓ ધ્વસ્ત કરી દિધી હતી. પાકિસ્તાન લગભગ 90 ગામ અને બીએસએફની 70 ચોકીઓને નિશાન બનાવી રહ્યું છે.