જાહેરાતોમાં ઇંદિરાનો ઇજારો, સરદાર પ્રત્યે સૂગ !
અમદાવાદ, 31 ઑક્ટોબર : ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેનાર લોખંડી પુરુષ સરદાર વલ્લભાઈ પટેલ અને સ્વતંત્ર ભારતમાં સમગ્ર વિશ્વને ભારતની તાકાતનો પરચો કરાવનાર ભૂતપૂર્વ વડાપ્રધાન લોખંડી મહિલા ઇંદિરા ગાંધી બંનેને સમગ્ર રાષ્ટ્ર આજે યાદ કરી રહ્યું છે. સરદાર પટેલની આજે જન્મ જયંતી છે, તો ઇંદિરા ગાંધીની આજે પુણ્યતિથિ છે.
દેશની સ્વતંત્રતા તથા અખંડિતતા માટે કરેલા કાર્યોં માટે જ્યાં સરદારને ભુલાવી શકાય નહિં, તો બીજી બાજું દેશ માટે આપેલા બલિદાન બદલ ઇંદિરા ગાંધીને પણ ભુલાવવું શક્ય નથી. સામાન્ય પ્રજા કદાચ સરદાર કે ઇંદિરા વચ્ચે કોઈ ભેદ ન કરે, પરંતુ કેન્દ્રમાં સત્તારૂઢ કોંગ્રેસ પક્ષના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર આ બંનેમાં કદાચ ભેદ કરતી હોય, એવું લાગે છે.
આજના મોટાભાગના રાષ્ટ્રીય વર્તમાન પત્રો ઉપાડીને જોઇએ, તો તેના ઉપરથી આ ભેદ સમજાઈ જશે. અખબારોમાં આજે કેન્દ્ર સરકાર દ્વારા મોટી-મોટી જાહેરાતો આપવામાં આવી છે અને વિવિધ રાજ્યની સરકારોએ પણ આ બંને મહાનુભાવોની યાદમાં જાહેરાતો આપી છે, પરંતુ કેન્દ્ર સરકારની જાહેરાતોમાં ઇંદિરાનો ઇજારો દેખાય છે અને સરદાર પ્રત્યે સૂગ સ્પષ્ટ જણાઈ આવે છે.
કેટલાંક રાષ્ટ્રીય અખબારોના પાના ઉઘાડીને જોતાં સ્પષ્ટ જણાઈ આવ્યું કે અખબારોમાં ઇંદિરા ગાંધીની જાહેરાતો વધારે છે, પરંતુ સરદાર પટેલની જાહેરાતો ઓછી છે. અમુક અખબારોમાં ઇંદિરા અને સરદારની જાહેરાતોનું પ્રમાણ 3:1 અથવા 4:1 દેખાય છે. કેન્દ્રના આવા વલણથી સ્પષ્ટ થાય છે કે કેન્દ્ર સરકારની જાહેરાતોમાં ઇંદિરાનો ઇજારો છે અને સરદાર પ્રત્યે સૂગ દેખાય છે. સરદાર અંગેની જાહેરાતો માત્ર ખાનાપૂર્તિ માટે અપાઈ હોય, તેવું જણાઈ આવે છે.