ISIવાળા નિવેદન પર રાહુલને મળી ચૂંટણીપંચની નોટિસ
નવી દિલ્હી, 1 નવેમ્બર: ચૂંટણી પંચે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને તેમના નિવેદનને લઇને નોટિસ ફટકારી છે જેમાં તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ મુઝફ્ફરનગરના રમખાણ પીડિતોના સંપર્કમાં છે.
પંચે ચૂંટણી અધિકારીના અહેવાલ પર સંજ્ઞાન લીધા બાદ 23 ઓક્ટોબરના રોજ રાજસ્થાનના ચુરુ તથા 24 ઓક્ટબરના રોજ મધ્ય પ્રદેશના ઇન્દોરમાં રાહુલ દ્વારા આપવામાં આવેલા ભાષણોની તપાસ કરી અને ચૂંટણી પંચે રાહુલને જણાવ્યું છે કે સોમવાર સુધી આ અંગે સ્પષ્ટીકરણ આપી દે પ્રથમ દ્રષ્ટિએ ચૂંટણી આચાર સંહિતાના ઉલ્લંઘનને લઇને તેમની સામે કાર્યવાહી શા માટે ના કરવામાં આવે?
પંચે રાહુલને મોકલેલ નોટિસમાં જણાવ્યું કે 'ભારતીય ચૂંટણી પંચ આપને 4 નવેમ્બર, 2013ના રોજ 11.30 વાગ્યા સુધી આનું સ્પષ્ટીકરણ આપવા કહે છે કે ચૂંટણી આચાર સંહિતાના ભંગ બદલ આપની વિરુદ્ધ કાર્યવાહી શા માટે ના કરવામાં આવે.'
ભાજપે મુખ્ય ચૂંટણી કમિશ્નર વીએસ સમ્પતને આ સંદર્ભે જાણ કરી હતી અને માંગ કરી હતી કે કોંગ્રેસની રાષ્ટ્રીય પાર્ટીની માન્યતા રદ કરવામાં આવે અને રાહુલની સામે આચાર સંહિતાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવે. ઇન્દોરમાં ચૂંટણી સભાને સંબોધતા રાહુલે જણાવ્યું હતું કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ મુઝફ્ફરનગરના રમખાણ પીડિતોના સંપર્કમાં છે, જેથી તેમને આતંકવાદી સાથે જોડી શકે.