જયપુર કોર્ટે મોદી સરકારમાં રાજ્યમંત્રીને બળાત્કાર કેસમાં નોટિસ પાઠવી
જયપુર, 12 જૂન : જયપુરની જિલ્લા કોર્ટે નરેન્દ્ર મોદીની સરકારમાં રાજ્ય મંત્રી બનેલા નિહાલચંદ મેઘવાલ અને અન્ય 17 લોકોની સામે ચાર વર્ષ જુના બળાત્કાર કેસમાં નોટિસ પાઠવી છે.
આ બળાત્કારના કેસમાં બળાત્કારનો ભોગ બનેલી પીડિતા બચી ગઇ હતી. તેણીએ પોતાના પતિ સામે શારીરિક શોષણ અંગેની પ્રથમ એફઆઇઆર વર્ષ 2011માં નોંધાવી હતી. એફઆઇઆરમાં તેણે કહ્યું હતું કે તેના પતિએ તેને માદક પદાર્થ ખવડાવ્યો હતો અને ત્યાર બાદ પતિના સાથીઓએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
આ એફઆઇઆરમાં વર્તમાનમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી, કેમિકલ અને ફર્ટિલાઇઝર નિહાલચંદ મેઘવાલનું નામ પણ છે. પીડિતાનું શારીરિક શોષણ કરનારી વ્યક્તિઓમાં મોદી કેબિનેટમાં રાજસ્થાનના આ એક માત્ર પ્રધાનનું નામ પણ સંકળાયેલું છે.
ત્યાર બાદ પોલીસે વર્ષ 2012માં આરોપોને ખોટા અને ઉપજાવી કાઢેલા ગણાવીને કેસને બંધ કર્યો હતો. ત્યાર બાદ પીડિત મહિલાએ જિલ્લા કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે તેની અરજીને નકારી કાઢી હતી. જો કે તેણે ફરીથી ફરિયાદ કરતા એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ પ્રેમ પ્રકાશ ગુપ્તાએ મેઘવાલ અને અન્ય 17 સામે નોટિસ પાઠવી છે અને તેમને 20 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે.