દલિત વિરોધી ટિપ્પણી માટે આશિષ નંદીને જયપુર પોલીસના સમન્સ
આ કેસ એવો ગૂંચવાયો છે કે હવે સાહિત્ય મહોત્સવના આયોજક, સંજોય રોયને પણ પોલીસ પૂછપરછ માટે આજે બોલાવે એવી શક્યતાઓ ઉભી થઇ છે.
નોંધનીય છે કે જયપુર સાહિત્ય મહોત્સવના આયોજકોએ સોમવારે પોલીસ સાથેના એક સમજૂતીપત્ર પર સહી કરીને ખાતરી આપી હતી કે તેઓ આ કેસમાં તપાસ પૂરી ન થાય ત્યાં સુધી જયપુરની બહાર નહીં જાય. સુજોય રોયે કહ્યું છે કે, અમે પોલીસને આશિષ નંદીએ કરેલા ભાષણની ડીવીડી સુપરત કરી દીધી છે.
આ જ મુદ્દે બિહારના પટનામાં અનુસૂચિત જાતિ સંઘના અધ્યક્ષ સદાનંદ પાસવાને મુખ્ય ન્યાયિક દંડાધિકારી (સીજેએમ) રામાકાંત યાદવની અદાલતમાં આશિષ નંદીની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પાસવાને આરોપ લગાવ્યો છે કે નંદીએ પછાત જાતિ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વિરુદ્ધ ભ્રષ્ટાચાર સંબંધી પોતાની ટિપ્પણીમાં અનુસૂચિત જાતિઓની માનહાનિ કરી છે. આથી તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. આ મુદ્દે આગામી સુનવણી 30 જાન્યુઆરીએ થશે.
આશિષ નંદીએ એક ખાનગી ન્યૂઝ ચેનલને ઇન્ટર્યુ આપતા પોતાનું વલણ સ્પષ્ટ રાખતા જણાવ્યું હતું કે તેઓ પોતાના નિવેદન સાથે વળગી રહેશે અને તેઓ આના માટે કોઇપણ રાજકારણીઓની માફી માગશે નહી. તેઓ આના માટે સંપૂર્ણ રીતે લડત આપવા માટે તૈયાર છે.
વાત કંઇક એવી છે કે શનિવારે સાહિત્ય સમ્મેલમાં ચર્ચા ભ્રષ્ટાચાર પર આવીને ઉભી રહી. દરમિયાનમાં અન્ય સાહિત્યકારો અને પત્રકારો સાથે મંચ પર હાજર આશિષ નંદીએ જણાવ્યું હતું કે 'દેશમાં સૌથી વધારે ભ્રષ્ટાચારીઓ ઓબીસી અને અનુસુચિત જાતિના લોકોમાંથી આવે છે. સૌથી વધારે ભ્રષ્ટાચાર દલિતો કરી રહ્યા છે.' આશિષ નંદીએ સમ્મેલનમાં સીધેસીધું કહી દીધું કે સૌથી વધારે ભ્રષ્ટાચારીઓ દલિત જાતિમાંથી આવે છે.