બાંદીપોરા: સેના સાથેની અથડામણમાં 6 આંતકી ઠાર
શુક્રવારે જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા સેક્ટરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. તેમાં 6 આતંકીઓનું મૃત્યુ થયું હતું. આ અંગે વધુ વાંચો અહીં.
શુક્રવારે જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા સેક્ટરમાં સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં 6 આતંકીઓનું મૃત્યુ થયું છે. આ કાર્યવાહીમાં એક જવાન શહીદ થયો છે અને બે ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અથડામણમાં જકીઉર રહમાન લખવીના ભાણેજનું મૃત્યુ થયું હતું. ઉપલબ્ધ જાણકારી અનુસાર, સુરક્ષા દળોને બાંદીપુરાના હાજિનમાં આતંકીઓ છુપાયા હોવાની ખબર મળી હતી. એ પછી સેનાએ એ વિસ્તારની ઘેરાબંધી કરી આંતકીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી.
હાજિનમાં સેના અને આતંકીઓની અથડામણમાં મૃત્યુ પામેલા આતંકીઓમાં અબ્દુલ રહમાન મક્કીનો પુત્ર અને 26/11નો માસ્ટરમાઇન્ડ જકીઉર રહમાન લખવીનો ભાણેજ ઓવૈદ પણ હતો. લખવી 26/11ના હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. આ દરમિયાન એવી પણ ખબર હતી કે, સત્તાધીશો દ્વારા આ વિસ્તારમાં 2જી, 3જી અને 4જી ડેટા સર્વિસ પર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સૂત્રો અનુસાર, બાંદીપુરા સેક્ટરમાં આતંકીઓ વિરુદ્ધના તપાસ અભિયાનમાં સેના દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેને કારણે આતંકીઓ ત્યાંથી ભાગવામાં નિષ્ફળ થયા હતા. આ કાર્યવાહીમાં સુરક્ષા દળોને ભારે માત્રામાં હથિયાર મળી આવ્યા હતા. સેના માટે આ બહુ મોટી સફળતા કહેવાઇ રહી છે.