અચાનક લાશો વચ્ચેથી ઉઠેલા આતંકીએ કર્યુ અંધાધૂંધ ફાયરિંગ, 4 જવાન શહીદ
એનકાઉન્ટર દરમિયાન આતંકવાદી મરવાનું નાટક કરીને સુરક્ષાબળો અને જમ્મુ કાશ્મીર પોલિસના જવાનો પર અંધાધૂંધ ગોળીબાર કરવા લાગ્યો.
શુક્રવારે જે સમયે વાઘા બોર્ડર પર ભારતીય વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદન વર્તમાનની પાકિસ્તાનથી મુક્તિની રાહમાં આખો દેશ બેસી રહ્યો હતો તે સમયે જમ્મુ કાશ્મીરના કુપવાડામાં આતંકીઓ સાથે સુરક્ષાબળોનું એનકાઉન્ટર ચાલી રહ્યુ હતુ. ગુરુવારે આખી રાત ચાલેલા એનકાઉન્ટર બાદ સુરક્ષાબળોએ શુક્રવારે બે આતંકીને ઠાર માર્યા. જો કે આતંકીઓ સાથે એનકાઉન્ટરમાં સીઆરપીએફના બે અને જમ્મુ કાશ્મીર પોલિસના બે જવાન પણ શહીદ થઈ ગયા. વાસ્તવમાં આ એનકાઉન્ટર દરમિયાન આતંકવાદી મરવાનું નાટક કરીને સુરક્ષાબળો અને જમ્મુ કાશ્મીર પોલિસના જવાનો પર અંધાધૂંધ ગોળીબાર કરવા લાગ્યો.
ફાયરિંગમાં શહીદ થયા 4 જવાન
શુક્રવારે એનકાઉન્ટર ખતમ થયા બાદ સુરક્ષાબળોને લાગ્યુ કે બંને આતંકી માર્યા ગયા છે. સુરક્ષાબળના જવાન એનકાઉન્ટર બાદ જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા તો અચાનક લાશો વચ્ચેથી એક આતંકી ઉઠ્યો અને સુરક્ષાબળો પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધુ. સુરક્ષાબળોના જવાન કંઈ સમજી શકે ત્યાં સુધી તે આતંકીના ફાયરિંગમાં સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલિસના 12 જવાન ઘાયલ થઈ ચૂક્યા હતા. ત્યારબાદ ફરીથી એનકાઉન્ટર શરૂ થયુ અને સુરક્ષાબળોએ એ આતંકીને ઠાર માર્યો. ઘાયલ જવાનોને ઈલાજ માટે તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં સીઆરપીએફના બે અને જમ્મુ કાશ્મીર પોલિસના 2 જવાનોએ દમ તોડી દીધો હતો.
ગુરુવારે રાતે શરૂ થયુ ઑપરેશન
આ પહેલા ગુરુવારે સુરક્ષાબળોને જમ્મુ કાશ્મીરમાં લંગેટના ખાનુ બાબાગુડ વિસ્તારમાં આતંકીઓ છૂપાયા હોવાની જાણકારી મળી. રાતે લગભગ 9 વાગે, ભારતીય સેનાની 22 રાષ્ટ્રીય રાઈફલ, 92 બટાલિયન, સીઆરપીએફ અને એલઓસીના જવાનોએ સર્ચ ઑપરેશન શરૂ કર્યુ. રિપોર્ટ્સ અનુસાર સેનાએ રાતના અંધારામાં આતંકવાદીઓને ભાગવાથી રોકવા માટે લાઈટની પણ વ્યવસ્થા કરી હતી. રાતે લગભગ એક વાગે આતંકીઓ સાથે સુરક્ષાબળોનું એનકાઉન્ટર શરૂ થયુ અને આખી રાત ચાલેલા એનકાઉન્ટર બાદ શુક્રવારે સુરક્ષાબળોએ બે આતંકીઓને ઠાર માર્યા. જો કે હજુ સુધી આ વિશે કોઈ સુરાગ નથી મળ્યા કે એનકાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકી કયા સંગઠનના હતા.
સીમા પર પાકિસ્તાનની અવળચંડાઈ
તમને જણાવી દઈએ કે ભારતીય સેનાઓ તરફથી જડબાતોડ જવાબ મળવા છતાં પાકિસ્તાન પોતાની હરકતો છોડતુ નથી. સીમા પર પાકિસ્તાની સેનાઓ સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરીને ગોળીબાર કરી રહી છે. શુક્રવારે જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાન તરફથી થયેલી ફાયરિંગમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થઈ ગયા જ્યારે બે અન્ય ઘાયલ થઈ ગયા. જાણકારી મુજબ પાકિસ્તાની ગોળીબારમાં રુબાના કૌસર (24), તેમનો પુત્ર ફજાન (5) અને નવ મહિનાની પુત્રી શબનમનું મોત થઈ ગયુ છે. પાકિસ્તાની સૈનિકોએ મોર્ટાર અને ભારે ગનથી સામાન્ય નાગરિકોના વિસ્તારોને નિશાન બનાવ્યા. ભારતીય સેના પણ પાકિસ્તાની ફાયરિંગનો જડબાતોડ જવાબ આપી રહી છે. આ સતત આઠમો દિવસ છે જ્યારે પાકિસ્તાની સેનાએ રાજોરી અને પુંછ જિલ્લાઓમાં નિયંત્રણ રેખા પર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યુ છે.
આ પણ વાંચોઃ બોલિવુડમાં પાક કલાકારોના પ્રતિબંધ પર શું બોલ્યા રણવીર સિંહ?