વિશ્વરૂપમ પર જયલલિતાનો ખુલાસો, કહ્યું હિંસાની હતી આશંકા
જયલલિતાએ જણાવ્યું કે રાજ્યના મુખ્યમંત્રી તરીકે મારી ફરજ છે કે લો એન્ડ ઓર્ડરનું પાલન કરવું અને રાજ્યમાં શાંતિ બનાવી રાખવી. જો રાજ્ય સરકારે ફિલ્મને રીલિઝ કરવાની પરવાનગી આપી હોત તો મોટા પાયે રાજ્યમાં વિરોધ પ્રદર્શન થતા અને તે હિંસાનું સ્વરુપ ધારણ કરી લેત, જેને રોકવું રાજ્ય સરકારના હાથની બહાર હોત. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ફિલ્મને રીલિઝ થવા દીધી નથી.
રાજ્યના ઘણા બધા મુસ્લીમ સમુદાયો ફિલ્મનો વિરોધ કરી રહ્યા હતા, તેઓ ગૃહમંત્રાલયને પણ મળી આવ્યા હતા અને તેમણે એવી ચિમકી પણ આપી હતી કે જો રાજ્યમાં ફિલ્મ રીલિઝ થશે તો મોટાપાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. જેના પગલે રાજ્યમાં શાંતિ બનાવી રાખવા રાજ્ય સરકાર પાસે ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા ઉપરાંત અન્ય કોઇ રસ્તો ન્હોતો. જયલલિતાએ એમ પણ જણાવ્યું કે અભિનેતા કમલ હસન પ્રત્યે તેમને વ્યક્તિગત કોઇ દુશ્મની નથી.
જયલલિતાએ એમ જણાવ્યું કે જો અમે ફિલ્મને સુરક્ષા પ્રદાન કરીને પણ રીલિઝ થવાની પરવાનગી આપીએ તો પણ અમારી પાસે 524 થિયેટરોને સુરક્ષા આપવા માટે 56 હજાર પોલીસ મેનપાવરની જરૂરીયાત હતી. જે અમારી પાસે ન્હોતી આવી પરિસ્થિતિમાં અમારે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો પડ્યો. અને મારુ માનવું છે કે અમારો જે નિર્ણય હતો તે યોગ્ય હતો.
જયલલિતાએ જણાવ્યું કે કમલ હસન સાથે મારે કોઇ દુશ્મનાવટ નથી, તેમણે સંવેદનશીલ મુદ્દા પર ફિલ્મ બનાવી એમાં તેમની ભૂલ છે. જો કમલ હસન અને મુસ્લીમ સમુદાય વચ્ચે સમજુતી થઇ જતી હોય અને તેઓ ફિલ્મમાંથી વાંધાજનક દ્રશ્યો દૂર કરવામાં આવશે તો ફિલ્મને રાજ્યમાં શાંતિપૂર્ણ રીલિઝ કરવા માટે તેમની સરકારને કોઇ વાંધો નથી.