ભ્રષ્ટાચારનો આરોપ કરનારા પરમબીર સિંહ સામે વોરંટ જાહેર
મહારાષ્ટ્રના ચાંદીવાલ ન્યાયિક આયોગે ભ્રષ્ટાચારના કેસમાં પરમબીર સિંહ સામે રૂપિયા 50,000 નું જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. જસ્ટિસ કેયુ ચંદીવાલ કમિટી મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ સામેના આરોપોની તપાસ કરી રહી છે.
મુંબઈ : 100 કરોડના કથિત ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહની મુશ્કેલીઓ વધી ગઈ છે. મંગળવારના રોજ મહારાષ્ટ્રના ચાંદીવાલ ન્યાયિક આયોગે ભ્રષ્ટાચારના કેસમાં પરમબીર સિંહ સામે રૂપિયા 50,000 નું જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે.
જસ્ટિસ કેયુ ચંદીવાલ કમિટી મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ સામેના આરોપોની તપાસ કરી રહી છે. આ સમિતિની રચના મહારાષ્ટ્ર સરકારે કરી છે. ઉલ્લેખનીય છે કે, પંચ દ્વારા અનેક વખત બોલાવ્યા બાદ પણ પરમબીર સિંહ હજૂ સુધી તપાસ સમિતિ સમક્ષ હાજર થયા નથી.
હવે પૂર્વ કમિશનર પરમબીર સિંહ સામે જામીનપાત્ર વોરંટ બહાર પાડતા કમિશને મહારાષ્ટ્રના DGPને આ વોરંટ આપવા માટે વરિષ્ઠ અધિકારીની નિમણૂક કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે પરમબીર સિંહને 50,000 રૂપિયાના જામીન બોન્ડ રજૂ કરવાનું પણ કહેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પરમબીર સિંહ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી છે. પંચે હવે પરમબીર સિંહ સામે કડક વલણ અપનાવવાનું નક્કી કર્યું છે, છેલ્લી સુનાવણીમાં તપાસ સમિતિએ જણાવ્યું હતું કે, હવે જો પરમબીર આગામી તારીખે હાજર નહીં થાય, તો તેની સામે વોરંટ જારી કરવામાં આવશે.
શું છે સમગ્ર કેસ?
ચાલુ વર્ષે માર્ચમાં મહારાષ્ટ્ર સરકારે પરમબીર સિંહને મુંબઈ પોલીસ કમિશનર પદેથી હટાવીને હોમગાર્ડમાં બદલી કરી હતી. થોડા દિવસો બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં તેમણે તત્કાલીન ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા.
પરમબીર સિંહે કહ્યું હતું કે, દેશમુખે પોલીસ અધિકારીઓને મુંબઈમાંથી 100 કરોડ વસૂલવાનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારબાદ 30 માર્ચના રોજ મહારાષ્ટ્ર સરકારે આ આરોપોની તપાસ માટે નિવૃત્ત ન્યાયમૂર્તિ કૈલાશ ઉત્તમચંદ ચાંદીવાલને નિયુક્ત કરીને એક સભ્યવાળી કમિટીની રચના કરી હતી. આ આરોપો બાદ દેશમુખે પદ પરથી રાજીનામું આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, CBI અને ED પણ આ કેસમાં તપાસ કરી રહ્યા છે.