કમલેશ તિવારી હત્યાકાંડમાં ત્રણ આરોપીઓએ અપરાધ કબૂલ્યોઃ ગુજરાત એટીએસ
કમલેશ તિવારી હત્યાકાંડમાં ત્રણ આરોપીઓએ અપરાધ કબૂલ્યોઃ ગુજરાત એટીએસ
નવી દિલ્હીઃ હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યાના મામલે ધરપકડ કરાયેલ ત્રણ લોકોએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. ડીજીઆઈ ગુજરાત એટીએસ, હિમાંશુ શુક્લાએ જણાવ્યું કે આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે, ત્રણેયે હત્યામાં સામેલ થયા હોવાનું સ્વીકારી લીધું છે. લખનઉમાં શુક્રવારે કમલેશ તિવારીની હત્યા કરવામાં આવી હતી. યૂપી અને ગુજરાત પોલીસની સંયુક્ત ટીમે મામલાને ઉકેલવાનો દાવો કર્યો છે.
શનિવારે ગુજરાત એટીએસ અને યૂપી પોલીસે મામલાનો ખુલાસો કરતા જણાવ્યું કે હત્યાનું ષડયંત્ર દુબઈમાં રચવામાં આવ્યું હતું અને રશીદ પઠાણ નામનો શખ્સ મુખ્ય આરોપી છે. યૂપી ડીજીપી ઓમ પ્રકાશ સિંહે જણાવ્યું કે પોલીસ ટીમે પાંચ લોકોની ધરપકડ કરી લીધી હતી, જેમાંથી બેને પૂછપરછ બાદ છોડી મૂકવામાં આવ્યા. ત્રણ લોકો પોલીસ કસ્ટડીમાં છે, જેના નામ ખુર્શીદ પઠાણ, મૌલાના મોહસિન શેખ અને ફૈઝાન છે.
કમલેશ તિવારીની હત્યા બાદ તેમના રૂમમાંથી સુરતની ઘારી મિઠાઈનો ડબ્બો મળ્યો હતો. ઘારી સુરતની પ્રખ્યાત મિઠાઈ છે અને અહીંની દુકાનનો આ ડબ્બો હતો. જેને જોતા સુરત પોલીસની ટીમે આ દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા અને કેટલાક સંદિગ્ધોની પૂછપરછ કરી હતી. યૂપી ડીજીપી મુજબ પોલીસને મિઠાઈ ખરીદી રહેલ આરોપીઓના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા જેનાથી કેસને ઉકેલવામાં ઘણી મદદ મળી. બંને રાજ્યની પોલીસ સંયુક્ત રીતે આ ઓપરેશન પાર પાડી રહી છે.
ગુજરાત એટીએસે દાવો કર્યો છે કે કમલેશ તિવારીની હત્યા માટે સુરતથી પિસ્તોલ ખરીદવામાં આવી હતી, ષડયંત્ર રચ્યા બાદ એક શખ્સ કમલેશ તિવારીની હત્યા માટે દુબઈથી ભારત આવ્યો હતો. સુરતથી મિઠાઈ ખરીદનાર બંને લોકો શૂટર હતા.
કમલેશ તિવારી હત્યાકાંડઃ ગુજરાત ATSએ 6 સંદિગ્ધોને કસ્ટડીમાં લીધા