ઇકબાલના ટેકે ટકી સરકાર, બિન્નીએ પાછું ખેંચ્યું સમર્થન
નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી: દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર માટે ખતરાની ઘંટડી વાગી ગઇ છે. બળવાખોર વિધાયક વિનોદ કુમાર બિન્નીએ અરવિંદ કેજરીવાલ સરકારને પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું છે.
પોતાના વિરોધી વર્તનના કારણે પાર્ટીમાંથી બહાર કરાયેલા લક્ષ્મીનગર વિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બિન્નીએ અરવિંદ કેજરીવાલ સરકાર પાસેથી સમર્થન પરત લેવાની જાહેરાત કરી દીધી છે. તેઓ ટૂંક સમયમાં આ મામલે દિલ્હીના ઉપરાજ્યપાલને મળીને તેમને સરકારમાંથી સમર્થન પરત લેવા અંગેનો પત્ર સોંપશે.
સમર્થન પરત લેવાની જાહેરાત કરતા બિન્નીએ જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ સરકાર પોતાના મુદ્દાઓથી ભટકી ગઇ છે. ચૂંટણી પહેલા દિલ્હીની જનતાને જે વચનો કરવામાં આવ્યા હતા, સરકાર તેને પૂરા કરવામાં સંપૂર્ણરીતે નિષ્ફળ ગઇ છે. માટે તેઓ પોતાનું સમર્થન પાછું લઇ રહ્યા છે. તેમણે જણાવ્યું કે જો આપની સરકાર અણ્ણાના જનલોકપાલ બિલને પાસ કરે છે તો જ તેઓ પોતાનું સમર્થ આપને ચાલુ રાખશે.
અત્રે ઉલ્લેખનીય છે કે બિન્નીએ વીજળી અને પાણી જેવા મુદ્દાઓ પર પોતાની જ સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા, અને તેમની પર વચન નહી પાળવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે 28 જાન્યુઆરીના રોજ કેજરીવાલ સરકારની વિરુધ્ધ કેટલાંક સમય માટે જંતર-મંતર પર ધરણા પણ કર્યા હતા.