..તો આ કારણે BJPએ યુપીમાં નિમ્યા છે 2 ડેપ્યુટી CM
યુપીમાં બે ડેપ્યુટી સીએમ નિમવાનો નિર્ણય ભાજપની ખાસ રણનીતિ હોવાનું મનાય છે. આ રીતે ભાજપે એક બાજુ જાતિઓના આંકડા સાધવાનો પ્રયત્ન કર્યો છે, તો બીજી બાજુ સત્તાનું એકાકીકરણ ન થાય એનું ધ્યાન રાખ્યું છે.
ઘણા દિવસો સુધી રાહ જોયા બાદ આખરે ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી તરીકે ભાજપ ના ધારાસભ્યોએ યોગી આદિત્યનાથ ને ધારાસભ્યોના દળના નેતા જાહેર કર્યા છે. સાથે દિનેશ શર્મા અને કેશવ પ્રસાદ મૌર્યાની ડેપ્યુટી સીએમ તરીકે નિમણૂક કરવામાં આવી છે. યુપીમાં બે ડેપ્યુટી સીએમ નિમવાનો નિર્ણય ભાજપની ખાસ રણનીતિ હોવાનું મનાય છે. એક બાજુ આ રીતે જાતિઓના આંકડાઓ સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, તો બીજી બાજુ સત્તાનું એકાકીકરણ ન થાય એ ધ્યાન રાખવામાં આવ્યું છે.
ચા વાળાથી લઇને ડેપ્યુટી સીએમ સુધી..
ભારતીય જનતા પાર્ટીના ઉત્તર પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ કેશવ પ્રસાદ મૌર્ય કૌસાંબીના રહેવાસી છે. તેમણે નાનપણમાં ચા વેચવાનું કામ પણ કર્યું છે. ખૂબ નાની ઉંમરમાં જ તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ માં સક્રિય થઇ ગયા હતા. મૌર્યએ વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ અને ભાજપમાં અનેક પદો પર કામ કર્યું છે. મૌર્યએ સિરાધૂ વિધાનસભામાં વર્ષ 2012 અને 2014માં લોકસભા ચૂંટણીમાં ફૂલપુર વિધાનસભામાંથી જીત મેળવી હતી.
કેશવ પ્રસાદ મૌર્ય જાતે ઓબીસી છે, ઓબીસી મતદાતાઓને સાધવા માટે જ તેમને ડેપ્યુટી સીએમ બનાવ્યા હોવાની વાત પણ કહેવાઇ રહી છે. વિધાનસભામાં ઓબીસીના ભારે સમર્થનને જોતાં પાર્ટીએ કેશવને આ સન્માન આપ્યું છે. તેઓ હાલ લોકસભા સાંસદ છે.
અહીં વાંચો - જાણો કોણ છે યોગી આદિત્યનાથ? જે છે યુપીના નવા CM
મોદીના ખાસ છે દિનેશ શર્મા
બીજા ડેપ્યુટી સીએમ દિનેશ શર્મા લખનઉના મેયર અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે. તેઓ બ્રાહ્મણ છે અને મેયર બનતાં પહેલાં લખનઉ વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસર તરીકે કાર્યરત હતાં. તેઓ ભણેલા-ગણેલા નેતાની છાપ ધરાવે છે. 53 વર્ષીય દિનેશ શર્મા મોદીની ખૂબ નજીક હોવાનું મનાય છે. બ્રાહ્મણ હોવાને કારણે તેમને ડેપ્યુટી સીએમનું પદ સોંપવામાં આવ્યું હોવાનું મનાય છે, જેથી બ્રાહ્મણ મતદારો પરની પકડ વધુ મજબૂત કરી શકાય. તેઓ ઉત્તર પ્રદેશ વિધાનસભા દળના સભ્ય નથી.