IBC 2018ના ઉદ્ઘાટનમાં કિરણ રિજિજૂએ કહી દોસ્તીની કહાણી
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી કિરણ રિજિજૂએ દીપ પ્રગટાવી ઈન્ડિયા બેંકિંગ કૉન્ક્લેવનું ઉદ્ઘાટન કર્યું. આ કૉન્ક્લેવમાં બેંકિંગ સેક્ટરમાં સુધારા પર જોર આપવામાં આવશે.
નવી દિલ્હીઃ સેન્ટર ફોર ઈકોનોમિક પૉલિસી એન્ડ રિસર્ચ દ્વારા આયોજિત બે દિવસીય ઈન્ડિયા બેંકિંગ કૉન્ક્લેવ આજે દિલ્હીમાં શરૂ થઈ ગયો છે. આ કૉન્ક્લેવના નોલેજ પાર્ટનર નીતિ આયોગ છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી કિરણ રિજિજૂએ દીપ પ્રગટાવી ઈન્ડિયા બેંકિંગ કૉન્ક્લેવનું ઉદ્ઘાટન કર્યું. આ કૉન્ક્લેવમાં બેંકિંગ સેક્ટરમાં સુધારા પર જોર આપવામાં આવશે. કાર્યક્રમમાં ઉદ્ઘાટન બાદ કિરણ રિજિજૂએ પોતાના એક મિત્રની વાર્તા સંભળાવી હતી.
કિરણ રિજિજૂએ પોતાના મિત્ર સાંચેની વાર્તા જણાવી, કહ્યું કે "બેંકોમાં કામ કરતા હોય તે લોકો બહુ સંતુષ્ટ હોય છે. જ્યારે હું સાતમા ધોરણમાં હતો ત્યારે મારા એક મિત્ર સાંચેએ મને કહ્યું કે તે નોકરી કરવા માગે છે. હવે એ ઉંમરમાં તે નોકરી તો નહોતો કરી શકે તેમ. બાદમાં તે કેશ કુલી મેસેન્જર તરીકે એસબીઆઈમાં કામ કરવા લાગ્યો. આની સાથે જ તેણે પોતાનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો હતો. બાદમાં તેણે 12મું ધોરણ પાસ કર્યું અને ગ્રેજ્યુએટ પણ થયો. તે કેશ કુલી મેસેન્જરથી લઈને એજ બેંકમાં મેનેજરના પદ સુધી પહોંચ્યો. તે હંમેશા કહેતો હતો કે બેંકમાં કામ કરીને જે સંતુષ્ટતા મળે છે તે બીજે ક્યાંય ન મળી શકે."
જણાવી દઈએ કે બે દિવસીય ઈન્ડિયા બેંકિંગ કૉન્ક્લેવમાં બેંકોની સ્થિતિ પર ચર્ચા થશે. બેંકોના ખાનગીકરણ અને મર્જરને લઈને પણ મહત્વની ચર્ચા થશે. ત્યારે ઈન્ડિયા બેંકિંગ કૉન્ક્લેવ 2018ના આયોજનમાં જે કંઈપણ વાત સામે આવશે એના પર સીઈપીઆર અને નીતિ આયોગ રિપોર્ટ તૈયાર કરશે અને સરકારને સોંપશે.