ત્રિવેણી સંગમ વચ્ચે છે આઠમી સદીનું કુલેશ્વર મંદિર
રાયપુર, 7 માર્ચઃ છત્તીસગઢના રાજિમમાં ત્રિવેણી સંગમ વચ્ચે વર્ષોથી અડીખમ રહેલું કુલેશ્વર મહાદેવ મંદિર સ્થાપત્યનું બેજોડ નમૂનો હોવાની સાથો-સાથ પ્રાચીન ભવન નિર્માણ ટેક્નિકનું જીવંત ઉદાહરણ છે. ત્રણ નદીઓના સંગમના કારણે રાજિમને છત્તીસગઢનું પ્રયાગ કહેવામાં આવે છે. રાજિમમાં પૈરી, સૌંઢૂર અને મહાનદીનું સંગમ છે.
છત્તીસગઢની રાજધાની રાયપુરથી માત્ર 45 કિમી દૂર સ્થિત રાજિમમાં નદી પર બનેલો પુલ 40 વર્ષ પણ ટકી શક્યો નહીં, જ્યારે ત્યાં આઠમી સદીનું કુલેશ્વર મંદિર આજે પણ અડીખમ છે. માન્યતા એવી છે કે જ્યાં મંદિર છે ત્યાં રામ વનવાસ દરમિયાન સીતાએ રેતીનું શિવલિંગ બનાવીને પૂજા-અર્ચના કરી હતી. મંદિરના દર્શન કરવા માટે દેશભરથી ભક્તો અહીં આવે છે. રાજિમમાં નદીના એક કિનારે ભગવાન રાજીવલોચનનું મંદિર છે અને વચ્ચે કુલેશ્વર મહાદેવનું. કિનારા પર વધું એક મહાદેવ મંદિર છે, જેને મામાનું મંદિર કહેવામાં આવે છે. કુલેશ્વર મહાદેવ મંદિરને ભાંજેનું મંદિર કહેવામાં આવે છે.
આ નદી પર મંદિરથી થોડેક દૂર નયાપાર અને રાજિમ બન્ને વસ્તીઓને જડતો પુલ છે. વર્ષ 1971માં યાતાયાત માટે ખોલવામાં આવેલો નહેરુ પુલ આજે ક્ષતિગ્રસ્ત થઇ જોખમભરી સ્થિતિમાં પહોંચી ચૂક્યો છે. આ જ જલધારા વચ્ચે કુલેશ્વર મંદિર પ્રાચીનકાળથી એન્જીનિયરિંગનું જીવંત ઉદાહરણ છે. ચોમાસાના દિવસોમાં પૂરનું પાણી ઘણા દિવસો સુધી મંદિરને ડૂબાડી રાખે છે.
મંદિરનો આકાર 37.75 ગુણ્યા 36.30 મીટર છે. તેની ઉંચાઇ 4.8 મીટર છે મંદિરનું અધિષ્ઠાન ભાગ ખાસ પથ્થરોથી બનાવવામાં આવ્યું છે. રેતી અને ચૂનાના ગારાથી ચણતર કરવામાં આવ્યું છે. તેના વિશાળ ચબુતરા પર ત્રણ તરફથી પગથીયા બનાવવામાં આવ્યા છે. આ ચબુતરા પર પીપળાનું એક વિશાળ ઝાડ છે. ચબુતરા અષ્ટકોણીય હોવાની સાથે ઉપરની તરફ પાતળું થાય છે. મંદિર નિર્માણ માટે લગભગ 2 કિમી પહોળી નદીમાં એ સમયે નિર્માતાએ મજબૂત પહાડોનું ભૂતળ શોધી કાઢ્યું હતું.
આ મંદિર અને રાજિમ હવે કુંભના રૂપમાં પ્રસિદ્ધ થઇ રહ્યું છે. હવે અહીં દેશભરના સાધુ-સંતોનો મેળાવડો જોવા મળે છે.