Lakhimpur violence : અંતે મંત્રીના પુત્ર આશિષ મિશ્રાની ધરપકડ કરાઇ
લખીમપુર ખેરી હિંસા કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસે આખરે 12 કલાકની પૂછપરછ બાદ આરોપી કેન્દ્રીય મંત્રીના પુત્ર આશિષ મિશ્રાની ધરપકડ કરી છે. લખીમપુરમાં ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મેજિસ્ટ્રેટ સમક્ષ આશિષ મિશ્રાની પૂછપરછ કરવામાં આવી હતી
Lakhimpur violence : લખીમપુર ખેરી હિંસા કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસે આખરે 12 કલાકની પૂછપરછ બાદ આરોપી કેન્દ્રીય મંત્રીના પુત્ર આશિષ મિશ્રાની ધરપકડ કરી છે. લખીમપુરમાં ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મેજિસ્ટ્રેટ સમક્ષ આશિષ મિશ્રાની પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ તપાસમાં સહકાર ન આપવા બદલ આશિષ મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી આશિષ મિશ્રાની શનિવારના રોજ સવારે 11 વાગ્યાથી 6 લોકોની ટીમે પૂછપરછ કરી હતી.
ખેડૂતોને કારથી કચડી નાંખવાના કેસમાં આશિષ મિશ્રાની ધરપકડ કરવાની માગ છેલ્લા કેટલાક દિવસોથી સતત કરવામાં આવી રહી હતી. વિપક્ષી નેતાઓ અને ખેડૂતો આ ધરપકડને લઈને ઉત્તર પ્રદેશ સરકાર પર સતત દબાણ કરી રહ્યા હતા. જે બાદ આશિષ મિશ્રા પોલીસ સમક્ષ હાજર થયો હતો. જે દરમિયાન તેની 12 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. લખીમપુર હિંસાના મુખ્ય આરોપી આશિષ મિશ્રાની શનિવાર સવારે 11 વાગ્યાથી પૂછપરછ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રીના દીકરાએ સ્વીકાર્યું કે, ખેડૂતો પર ચાલતી એસયુવી તેમની છે, પરંતુ તેણે એમ કહ્યું કે, તે તેમાં હાજર ન હતો.
આ પૂછપરછ દરમિયાન આશિષને 40 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આશિષ મિશ્રાની પૂછપરછ દરમિયાન સહકાર ન આપવા અને કેટલાક પ્રશ્નોના જવાબ ન આપવા બદલ ધરપકડ કરવામાં આવી છે. હવે તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ પૂછપરછ માટે આશિષના રિમાન્ડ માગવામાં આવશે. આશિષ મિશ્રાની ધરપકડ પર ડીઆઈજી ઉપેન્દ્ર અગ્રવાલે કહ્યું કે, લાંબી પૂછપરછ બાદ અમને જાણવા મળ્યું કે, તે (આશિષ મિશ્રા) સહકાર આપી રહ્યો નથી, તપાસમાં ઘણી બાબતો કહેવા માંગતો નથી. એટલા માટે અમે તેની ધરપકડ કરી રહ્યા છીએ, તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
આશિષ મિશ્રા વિરુદ્ધ IPC કલમ 147, 148, 149 (રમખાણો સંબંધિત), 279 (અવિચારી ડ્રાઇવિંગ), 338 (કોઈપણ વ્યક્તિને પોતાનું જીવન જોખમમાં મૂકતા નુકસાન પહોંચાડે છે), 304-A (બેદરકારીથી મૃત્યુ), 302 (હત્યા) અને 120 બી (ગુનાહિત કાવતરું) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પૂછપરછ દરમિયાન 14 વખત ચા અને નાસ્તો અંદર ગયો હતો. આશિષ મિશ્રા સાથે તેમના વકીલ અવધેશ સિંહ અને મંત્રી અજય મિશ્રા ટેનીના પ્રતિનિધિ અરવિંદ સિંહ સંજય અને ભાજપના સદર ધારાસભ્ય યોગેશ વર્મા પણ હાજર હતા.
આ અગાઉ લખીમપુર હિંસા પર દેશવ્યાપી આક્રોશ વચ્ચે સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને સખત ઠપકો આપ્યો હતો. જસ્ટિસ એનવી રમનાએ કહ્યું હતું કે, જે પણ શામેલ છે તેમની સામે આપણે આપણી કાર્યવાહી કરવી જોઈએ. તમે શું સંદેશ મોકલો છો? સામાન્ય સંજોગોમાં પણ, શું પોલીસ તાત્કાલિક જઈને આરોપીઓની ધરપકડ નહીં કરે? વસ્તુઓ જે રીતે થવી જોઈએ એ રીતની ઝડપે કાર્યવાહી થઇ નથી.