નરેન્દ્ર મોદીની વડોદરા - વારાણસીમાં ભવ્ય જીત
અમદાવાદ, 16 મે : ભાજપના પીએમ પદના ઉમાદવાર નરેન્દ્ર મોદી ભારતભરમાં માત્ર લોકપ્રિય નથી પરંતુ સ્વીકાર્ય રાજનેતા પણ છે એ સાબિત થઇ ગયું છે. મોદીએ તેમના વિરોધીઓની બોલતી બંધ કરી દીધી છે. નરેન્દ્ર મોદી તેમની લોકસભા બેઠક વડોદરા અને વારાણસી બંનેમાં ભવ્ય સરસાઇ સાથે જીત્યા છે.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભારતના વડાપ્રધાન બનાવવા માટે ગુજરાતની જનતાએ જોમભેર મતદાન કર્યું હતું. આ કારણે નરેન્દ્ર મોદીને વડોદરામાં કુલ 8,45,464 મતો મળ્યા છે. જ્યારે તેમના હરીફ ગણાતા કોંગ્રેસ પાર્ટીના મધુસુદન મિસ્ત્રીને માત્ર 2,75,336 મતો મળ્યા છે. જ્યારે ત્રીજા નંબરે આમ આદમી પાર્ટીના નેતા સુનીલ દિગંબર કુલકર્ણીને 10,101 મતો જ મળ્યા છે. વડોદરામાં નરેન્દ્ર મોદી સામે કુલ 7 પ્રતિસ્પર્ધીઓ હતા.
બીજી તરફ ગુજરાતની બહાર પણ નરેન્દ્ર મોદીનો જાદુ ચાલી શકે છે તેમ નરેન્દ્ર મોદીએ સાબિત કર્યું છે. વારાણસીમાં નરેન્દ્ર મોદીની સામે 17 ઉમેદવારો સ્પર્ધામાં હતા. તેમાંથી અનેક ઉમેદવારો સ્થાનિક હતા. આમ છતાં નરેન્દ્ર મોદીએ સૌથી વધારે 2,92,115 મતો મેળવ્યા છે. જ્યારે તેમના કટ્ટર હરીફ ગણાતા આપ પાર્ટીના અરવિંદ કેજરીવાલને 84,913 મતો મળ્યા હતા. જ્યારે ત્રીજા ક્રમે બસપાના વિડય પ્રકાશ જયસ્વાલને 36,808 મતો મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના અજય રાય 32,647 મતો સાથે છેક ચોથા ક્રમે પહોંચ્યા હતા.
નરેન્દ્ર મોદીને ભવ્ય વિજય બદલ રાજનાથ સિંહે અભિનંદન આપ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે નરેન્દ્ર મોદી 21 મેના રોજ શપથ ગ્રહણ કરશે. વારાણસીમાં નરેન્દ્ર મોદીની જીત બાદ એસપીજીની સુરક્ષા ટીમ પરિવારને સુરક્ષા આપવા માટે રવાના પણ થઇ ગઇ છે.
નરેન્દ્ર મોદીની જીતની સાથે જ તેમને ચારે તરફથી શુભેચ્છાઓ મળી રહી છે. ભાજપના કાર્યકરો અને નરેન્દ્ર મોદીના સમર્થકો ઠેર ઠેર નારેબાજી લગાવી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસમાં સન્નાટો મચી ગયો છે. કોંગ્રેસના કોઇ પણ નેતા મોદીનું નામ લેવા માટે તૈયાર નથી.












Click it and Unblock the Notifications
