ડિમ્પલ યાદવની આવક અખિલેશ કરતાં ઘણી વધુ છે, 5 વર્ષમાં આટલી સંપત્તિ વધી
લોકસભાની ચૂંટણીઓના બે તબક્કા પૂર્ણ થઈ ગયા છે અને હવે ત્રીજા તબક્કામાં રાજકીય ઘમાસાન વધુ તીવ્ર બન્યું છે.
લોકસભાની ચૂંટણીઓના બે તબક્કા પૂર્ણ થઈ ગયા છે અને હવે ત્રીજા તબક્કામાં રાજકીય ઘમાસાન વધુ તીવ્ર બન્યું છે. ગુરુવારે મતદાનના બીજા તબક્કાના વોટિંગ વચ્ચે, યૂપીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવે આઝમગઢ લોકસભા બેઠક પરથી નોમિનેશન ફાઇલ કર્યું હતું. નોમિનેશન સમયે, માયાવતીના ખાસમખાસ માનવામાં આવતા બસપાના નેતા સતીષ ચંદ્ર મિશ્રા, પણ અખિલેશ યાદવ સાથે હાજર હતા. આઝમગઢ સીટ પર ભાજપે અખિલેશ યાદવ સામે ભોજપુરી ફિલ્મ સ્ટાર નિરહુઆને ટીકીટ આપી છે. આઝમગઢમાં નામાંકન વખતે અખિલેશ યાદવે પોતાના શપથ-પત્રમાં જણાવ્યું હતું કે તેઓ કેટલી મિલકતના માલિક છે.
આ પણ વાંચો: એવા સ્મશાન બનાવીશ કે મરવાની ઈચ્છા થશે: કોંગ્રેસ એમએલએ
અખિલેશની આવક ઘટી, ડિમ્પલ યાદવની વધી
ગુરુવારે આઝમગઢ બેઠક પરથી નોમિનેશન દાખલ કરતી વખતે અખિલેશ યાદવે પોતાના શપથ-પત્રમાં જણાવ્યું હતું કે તેઓ અને તેમની પત્ની ડિમ્પલ યાદવ 37 કરોડથી વધુ સંપત્તિના માલિક છે. ચૂંટણી પંચને આપેલી માહિતી અનુસાર, અખિલેશ યાદવ પાસે 7.9 કરોડ રૂપિયાની ચલ સંપત્તિ અને 16.90 કરોડની અચલ સંપત્તિ છે. તેમની પત્ની ડિમ્પલ યાદવ 3.68 કરોડ રૂપિયાની ચલ સંપત્તિ અને 9.30 કરોડની અચલ સંપત્તિની મલિક છે. શપથ-પત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે વર્ષ 2013-14માં 1.25 કરોડ રૂપિયાની રકમની તુલનામાં, અખિલેશ યાદવની આવક 2017-18 માં ઘટીને 84.83 લાખ થઈ ગઈ છે. જો કે, અખિલેશની પત્ની અને કનૌજ લોકસભાની બેઠકથી સપાની ઉમેદવાર ડિમ્પલ યાદવની આવકમાં આ ગાળામાં વધારો થયો છે. 2013-14માં તેમની વાર્ષિક આવક 2831838 રૂપિયા હતી, જે 2017-18 માં વધીને 6116108 રૂપિયા થઇ ગઈ.
અખિલેશ પાસે 5.34 લાખ રૂપિયાનો જિમનો સામાન
ચૂંટણી પંચને આપવામાં આવેલા શપથ-પત્ર અનુસાર, અખિલેશ પાસે 3.91 લાખ રૂપિયા અને ડિમ્પલ યાદવ પાસે 403743 રૂપિયા રોકડ છે. આ સિવાય, અખિલેશ પાસે 76,000 રૂપિયાનો મોબાઇલ ફોન, 17085 રૂપિયાનું ફર્નિચર અને 5.34 લાખ રૂપિયાથી વધુ કિંમતનો કસરત કરવાનો સામાન છે. તેમની પત્ની ડિમ્પલ યાદવ પાસે 59.76 લાખ રૂપિયાની જ્વેલરી અને 1.25 લાખ રૂપિયાનું એક કમ્પ્યૂટર છે. 2014 ની લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી પંચને આપવામાં આવેલી માહિતી અનુસાર, ડિમ્પલ યાદવે તેમની મિલકત 7.92 કરોડ રૂપિયા જાહેરાત કરી હતી, જ્યારે તેમના પતિ, અખિલેશ પાસે 2014 માં 16 કરોડની સંપત્તિ હતી. જો કે, 2014 ની લોકસભાની ચૂંટણીમાં અખિલેશ યાદવ ચૂંટણી લડ્યા નહોતા.
અખિલેશ શા માટે આઝમગઢથી બેઠકથી નામાંકન કર્યું
અગાઉ, ગુરુવારે નોમિનેશન પહેલાં, અખિલેશ યાદવે તેમના સમર્થકો સાથે રોડ શો કર્યો હતો. આઝમગઢ લોકસભા બેઠકને સમાજવાદી પાર્ટીના ગઢ તરીકે ગણવામાં આવે છે. 2014 ની લોકસભાની ચૂંટણીમાં મોદીજીની લહેર હોવા છતાં, મુલાયમસિંહ યાદવે ભાજપના ઉમેદવાર રમાકાંત યાદવને અહીંથી હરાવ્યા હતા અને જીત મેળવી હતી. મુલાયમસિંહને આ મતક્ષેત્રમાં 340306 મતો અને ભાજપને 277102 મતો મળ્યા. બસપાએ અહીંથી શાહ આલમ ઉર્ફે ગુડુ જમાલીને ટિકિટ આપી હતી અને 266528 મતો મળ્યા હતા. આ ચૂંટણીમાં, સપાને 35.43 મત મળ્યા હતા અને બસપાને 27.75 ટકા, જ્યારે ભાજપને 28.85 ટકા મત મળ્યા હતા. આ ઉપરાંત, 2017 ની વિધાનસભા ચૂંટણીમાં આઝમગઢ લોકસભાની અંતર્ગત આવનારી 5 સીટોમાંથી સપાએ ત્રણ બેઠકો અને બસપાએ બે બેઠકો પર જીત મેળવી હતી.