નવી દિલ્હી, 1 એપ્રિલ : ચૂંટણી પહેલા નેતાઓના જુઠ્ઠાં વચનોથી કંટાળેલા ગ્રેટર નોઇડાના ગાંકૂર વિસ્તારના રહેવાસીઓએ મીઠા બોલા રાજકારણીઓની આંખો ખોલવા એક નવતર માર્ગ અપનાવ્યો છે. સ્થાનિકોએ ભારતીય ચલણની રૂપિયા 1,000, 500 અને 10ની ચલણી નોટો પર સંદેશો પાઠવતા સ્ટેમ્પ માર્યા છે. આ સ્ટેમ્પમાં લખ્યું છે કે "નેતાઓ કો જુતે મારો, દિન મેં તીન બાર".
આ ચલણી નોટો પરના લખાણને કારણે સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓએ મૌન ધારણ કરી લીધું છે. ત્યાં સુધી કે ગૌતમ બુદ્ધ નગરના વહીવટી અધિકારીએ પણ આ અંગે કોઇ માહિતી નહીં હોવાનું જણાવ્યું છે.
આ અંગે જિલ્લા અધિકારીએ જણાવ્યું કે તેઓ તપાસ ચલાવી રહ્યા છે. સૌ જાણે છે કે રિઝર્વ બેંકની ક્લીન નોટ પોલિસી અંતર્ગત ચલણી નોટ પર કોઇ પણ પ્રકારનું લખાણ લખવું ગુનો છે. તેના કારણે સૌ ચૂપ છે.
આ ઉપરાંત અન્ય ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોએ પણ નેતાઓના ફારસી વચનોને પગલે 10 એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણીઓનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. તેઓ રાજકીય પક્ષોના નેતાઓને ચૂંટણી પ્રચાર માટે ગામમાં આવતા રોકવાના છે.