માફિયાઓની મદદથી સરકારને અસ્થિર કરી રહી છે ભાજપઃ કમલનાથ
મધ્ય પ્રદેશમાં ચાલી રહેલ રાજકીય ઘટનાક્રમ પર મુખ્યમંત્રી કમલનાથે કહ્યુ છે કે ભાજપ તેમની સરકારને અસ્થિર કરવા માટે કોશિશ કરી રહી છે.
મધ્ય પ્રદેશમાં ચાલી રહેલ રાજકીય ઘટનાક્રમ પર મુખ્યમંત્રી કમલનાથે કહ્યુ છે કે ભાજપ તેમની સરકારને અસ્થિર કરવા માટે કોશિશ કરી રહી છે. કમલનાથે કહ્યુ અમારી પાસે પૂર્ણ બહુમત છે, બજેટ દરમિયાન અને એ પહેલા સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની ચૂંટણીના સમયે અમે આ સાબિત કરી ચૂક્યા છે. તેમછતાં ભારતીય જનતા પાર્ટી માફિયાઓનો સહારો લઈને અમારી સરકારને અસ્થિર કરવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહી છે.
દસ ધારાસભ્યોને ભાજપ ગુરુગ્રામમાં એક હોટલમાં પણ લઈ ગઈ
કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યુ છે કે ભાજપ મધ્ય પ્રદેશમાં તેની સરકારને પાડવા ઈચ્છે છે. કોંગ્રેસ નેતાઓએ કહ્યુ કે દસ ધારાસભ્યોને ભાજપ ગુરુગ્રામમાં એક હોટલમાં પણ લઈ ગઈ છે. ભાજપે આ આરોપોનુ ખંડન કર્યુ છે. પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ છે કે આ કોંગ્રેસનો પોતાના ઘરનો મામલો છે, તેમણે અમારા પર આરોપ ન લગાવવો જોઈએ. મંગળવારે રાતે મધ્ય પ્રદેશના 10 ધારાસભ્યોના ગુરુગ્રામની એક હોટલમાં આવ્યા બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ ચાલુ છે. આ હાઈ વોલ્ટેજ ડ્રામા મંગળવારે અડધી રાતથી ચાલુ છે. જે દસ ધારાસભ્યોની હોટલમાં આવવાની વાત કહેવામાં આવી છે, તેમાં કોંગ્રેસ ઉપરાંત કોંગ્રેસ સરકારને સમર્થન કરી રહેલા નાના પક્ષ અને અપક્ષ ઉમેદવાર બતાવાયા છે.
હોટલમાં બંધક બનાવવાનો આરોપ
કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી પર 10 ધારાસભ્યોને ગુરુગ્રામની એક લક્ઝરી હોટલમાં બંધક બનાવવાનો આરોપ લગાવ્યો. આ દસ ધારાસભ્યોમાં કોંગ્રેસના ચાર, ત્રણ અપક્ષ, બે બસપા અને એક સપાના ધારાસભ્યો છે. હવે કોંગ્રેસે દાવો કર્યો છે કે દસમાંથી છ ધારાસભ્યોને પાછા લઈ આવી છે અને તેમની સરકાર પર કોઈ સંકટ નથી. કોંગ્રેસ તરફથી કહેવાં આવ્યુ છે કે અડધી રાતે 6 ધારાસભ્યોને ગુરુગ્રામની હોટલમાંથી કાઢી લેવામાં આવ્યા છે.
ભાજપ રાજ્ય સરકારને અસ્થિર કરવા કોશિશ કરી રહી છે
મધ્ય પ્રદેશની કમલનાથની આગેવાનીવાળી 15 મહિના જૂની કોંગ્રેસ સરકારમાં રાજકીય ઉથલપાથલ સતત ચાલુ છે. કોંગ્રેસના દિગ્વિજય સિંહે બે દિવસ પહેલા કહ્યુ હતુ કે ભાજપ રાજ્ય સરકારને અસ્થિર કરવા માટે તેમની પાર્ટીના ધારાસભ્યોને લાંચ આપવાની કોશિશ કરી રહ્યુ છે. દિગ્વિજય સિંહે દાવો કર્યો હતો કે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ભાજપના એક અન્ય વરિષ્ઠ નેતા નરોત્તમ મિશ્રા 25-35 કરોડ રૂપિયા આપીને કોંગ્રેસના ધારાસભ્યોને લલચાવવાની કોશિશ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે મધ્ય પ્રદેશની 230 સભ્યોની વિધાનસભામાં વર્તમાનમાં 228 સભ્યો છે. કોંગ્રેસ પાસે 114 ધારાસભ્યો છે. વળી, તેને 4 અપક્ષ, 2 બસપા અને 1 સપા ધારાસભ્યનુ પણ સમર્થન છે. ભાજપ પાસે 107 ધારાસભ્યો છે.
આ પણ વાંચોઃ Coronavirus: શું ગર્ભવતી મહિલાઓ માટે ખતરો છે કોરોના વાયરસ?