મોદીની પીએમ ઉમેદવારી અંગે રાજ ઠાકરે અને ચવાણ વચ્ચે બેઠક
મુંબઇ, 16 સપ્ટેમ્બર : ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી 2014માં પીએમ પદ માટે નરેન્દ્ર મોદીની ઉમેદવારી જાહેર કરી હોવાથી હવે સત્તાના સમીકરણો ગોઠવવાનું શરૂ થઇ ગયું છે. કોની સાથે ગઠબંધન કરવું અને કોની સાથે ગઠબંધન તોડવું તે માટે અન્યારથી ચોકઠાં ગોઠવાઇ રહ્યા છે. આ બાબતમાં નરેન્દ્ર મોદી મુદ્દે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે વચ્ચે બેઠક યોજાઇ હતી.
આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ અને મનસે વચ્ચે યુતિ યોજાશે કે નહીં તે બાબતની ચર્ચા થઈ રહી છે. આવામાં રાજ ઠાકરે મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણને મળવા 'વર્ષા' માં ગયા હોવાથી રાજકીય વર્તુળોમાં જુદા જુદા તર્કવિર્તક કરવામાં આવી રહ્યા છે. આગામી ચૂંટણીમાં મુંબઈ, થાણે પુણે અને નાસિકમાં રાજ ઠાકરેની ભૂમિકા મહત્ત્વની રહેશે તે બાબતને ધ્યાનમાં રાખીને આ બેઠક યોજવામાં આવી હતી.
માનવામાં આવે છે કે જો મનસે પણ ભાજપ-શિવસેનાની મહાયુતિ સાથે જશે તો તેનો ફટકો કૉંગ્રેસ-એનસીપીને પડશે. વર્ષ 2009ની ચૂંટણીમાં યુતિના મતો મળી જતાં આઘાડીને ફાયદો થયો હતો. કૉંગ્રેસ આઘાડીને જીતાડવામાં મનસેની પરોક્ષ મદદ મળી હતી. આગામી ચૂંટણીમાં આવું વલણ કાયમ રાખવાનો કૉંગ્રેસ-એનસીપીના નેતાનો પ્રયાસ છે.
આ પાર્શ્ર્વભૂમિ પર મુખ્ય પ્રધાન અને રાજ ઠાકરેની મુલાકાતને મહત્ત્વની ગણવામાં આવે છે. ટેક્સીની પરમિટના મુદ્દે રાજ ઠાકરે અને વિધાનસભ્ય પ્રવીણ દરેકરે મુખ્ય પ્રધાનને નિવેદન આપ્યું ત્યારપછી મુખ્ય પ્રધાન અને રાજ ઠાકરે વચ્ચે પોણો કલાક ચર્ચા ચાલી હતી. તે વખતે રાજ સાથે રાજકીય સહિત વિવિધ મુદ્દે ચર્ચા થઈ હોવાનું મુખ્ય પ્રધાને એક અખબારને જણાવ્યું હતું.
નરેન્દ્ર મોદીને કારણે રાજ ઠાકરે એ મહાયુતિને સાથ આપશે કે કેમ તે બાબતે અટકળ વહેતી થઈ છે. ઠાકરે ભાઈઓ એક થાય તે બાબતે આશંકા છે. મોદીને કારણે રાજ ઠાકરે ભાજપના ઉમેદવારોની સામે આક્રમક વલણ લેશે નહીં એવો ભાજપનો મત છે.
કૉંગ્રેસ માટે મુંબઈનું મહત્વ છે. કારણ કે 2004 અને 2009ની ચૂંટણીમાં મુંબઈમાં કૉંગ્રેસને સફળતા મળી હતી. રાજ ઠાકરે નોખો ચોકો કરે તેવી કૉંગ્રેસને આશા છે. મનસે યુતિ સાથે જાય તો ચૂંટણી જંગમાં કૉંગ્રેસમાં કેટલી સફળતા મળશે તે બાબતે શંકા છે. રાજ ઠાકરેનું વલણ કેવું રહેશે તેનો અંદાજ મુખ્ય પ્રધાનને રાજ સાથેની મુલાકાત પરથી કાઢ્યો હોવાનું બોલાઈ રહ્યું છે.