Umesh Pal Murder Case : નાસિકથી ઝડપાયો ઉમેશ પાલ હત્યાકાંડનો મુખ્ય બોમ્બર ગુડ્ડુ મુસ્લિમ
Umesh Pal Murder Case : ઉમેશ પાલ મર્ડર કેસની તપાસમાં જોડાયેલી ઉત્તર પ્રદેશ એસટીએફને મોટી સફળતા મળી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશ એસટીએફએ બોમ્બર ગુડ્ડુ મુસ્લિમને ઝડપી લીધો છે. ગુડ્ડુ મુસ્લિમ ઉમેશ પાલ મર્ડર કેસનો આરોપી છે. ગુડ્ડુ મુસ્લિમ મહારાષ્ટ્રના નાસિકમાં છૂપાયેલો હતો.
UP STFએ લોકેશન ટ્રેસ કરીને ગુડ્ડુ મુસ્લિમને શોધી કાઢ્યો છે. ગુડ્ડુ મુસ્લિમ આ કેસને ઉકેલવામાં મહત્વની કડી સાબિત થઈ શકે છે. કારણ કે, મૃત્યુ પહેલા અતીક અહેમદના ભાઈ અશરફના અંતિમ શબ્દો પણ ગુડ્ડુ મુસ્લિમ હતા.
અશરફ ગુડ્ડુ મુસ્લિમ બોલતાની સાથે જ હુમલાખોરે અતીક અહેમદના માથામાં પિસ્તોલ વડે ગોળી મારી હતી. ત્યાર બાદ તરત જ અશરફને પણ ગોળી મારી દેવામાં આવી હતી.
અતીકની પત્ની કરશે આત્મસમર્પણ!
આ દરમિયાન એવા સમાચાર છે કે, ઉમેશ પાલ મર્ડર કેસની આરોપી અને અતિક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન પણ આજે સરેન્ડર કરી શકે છે. એવું માનવામાં આવે છે કે, શાઇસ્તા તેના પતિ અતીક અને સાળા અશરફના અંતિમ સંસ્કારમાં ચોક્કસપણે હાજરી આપશે. શાઇસ્તા તેના પુત્ર અસદને છેલ્લી વાર જોઈ શકી ન હતી.
ચાલી રહી છે મુખ્યમંત્રી યોગીની હાઇલેવલ બેઠક
ઉલ્લેખનીય છે કે, અતીક-અશરફની હત્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ઘરે ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે. એલર્ટ વચ્ચે મુખ્યમંત્રી યોગીએ દર 2 કલાકે અધિકારીઓને રિપોર્ટ કરવાની સૂચના આપી છે. મુખ્યમંત્રી યોગીએ પ્રયાગરાજ સભા સિવાય પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે.
ફોરેન્સિક ટીમે લીધા હતા સેમ્પલ
અત્રે નોંધનીય બાબત છે કે, અતીક અને અશરફનું પોસ્ટમોર્ટમ ટૂંક સમયમાં પ્રયાગરાજની SRN હોસ્પિટલમાં કરવામાં આવશે. બંનેને આજે જ દફનાવવામાં આવશે. અતીક-અશરફને દફનાવવા માટે બે કબરો ખોદવામાં આવી રહી છે. હત્યા બાદ પોલીસે તપાસ તેજ કરી છે. ઘટનાસ્થળે પહોંચેલી ફોરેન્સિક ટીમે ઘટના સંબંધિત સેમ્પલ લીધા છે.