નરેન્દ્ર મોદીએ સંસદમાં રજૂ કર્યા આ વજનદાર 15 મુદ્દાઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપતા જ્યાં એક તરફ વિપક્ષીઓને નમ્રતા સાથે આડેહાથ લીધા તો બીજી તરફ પોતાનામાં રહેલી પ્રતિભાના જોરે વિકાસની કરવાની વાતો પણ કરી. મોદીએ કહ્યું કે ચીન હવે વૃદ્ધ થઇ રહ્યું છે અને ભારત જવાન. આપણે કેટલા ભાગ્યશાળી છીએ. આપણે એ યુગમાં જીવીએ છીએ, એ સંસદમાં બેઠા છીએ, જ્યારે હિન્દુસ્તાન વિશ્વનો સૌથી યુવાન દેશ છે.
તેમણે કહ્યું કે, જ્યારે મતદાન થયું ત્યાં સુધી આપણે ઉમેદવાર હતા, પરંતુ હવે આપણે લોકોના દૂત છીએ. મોદીએ કહ્યું કે, સુવિધા આપવામાં આવે તો ગામ વિકાસમાં વધારે યોગદાન આપી શકે છે. અમારી સરકારની પ્રાથમિકતા છેકે ગરીબોના ઘરમાં સાંજે ચુલો સળગે, આ ઉપરાંત મોદીએ અનેક મહત્વના મુદ્દા સંસદમાં રજૂ કર્યા, જે અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.
દેશની છબીને બદલીશું
આપણા દેશની છાપ એવી પડી ગઇ છેકે ભારતને સ્કેમ ઇન્ડિયા કહેવામાં આવે છે, જેને આપણે સ્કિલ ઇન્ડિયામાં બદલીશું. તત્કાળ સ્વરૂપે વિશ્વમાં મેનપાવરની જરૂર છે. આપણું પડોશી દેશ ચીન વૃદ્ધ થઇ રહ્યું છે અને આપણે યુવા બની રહ્યાં છીએ. આપણી પ્રાથમિકતા યુવાનોમાં સ્કિલ ડેવલોપમેન્ટની હોવી જોઇએ.
બળાત્કારનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ ના કરો
હું બધા જ રાજકીય નેતાઓને અપીલ કરુ છું કે તેઓ બળાત્કાર જેવી ઘટનાઓનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ ના કરે. શું દરેક વખતે નિવેદન આપવું જરૂરી છે? શા માટે આપણે મૌન નથી રાખી શકતા. મહિલાની સુરક્ષા કરો અને આદર આપવો જોઇએ, જે દરેક લોકોની પ્રાથમિક જવાબદારી છે.
આપણે અહંકારી ન બનવું જોઇએ
વિજય આપણને ઘણું બધુ શીખવે છે અને આપણે શીખવું જ જોઇએ. તે આપણને નમ્રતા શીખવે છે. આપણે વરિષ્ઠો પાસેથી આશિર્વાદ લેવા જોઇએ કે તેઓ આપણને અહંકારી બનાવતા અટકાવે.
વિપક્ષને સાથે રાખવો જોઇએ
આપણે પરિવર્તન અંગે વાત કરી રહ્યાં છે. હું વિપક્ષના સહકાર વગર આગળ વધવા ઇચ્છતો નથી. હું નંબરો થકી આગળ વધવા માગતો નથી પરંતુ હું જે નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે તે થકી આગળ વધવા માગું છું. જેથી એ જરૂરી છેકે અપણે તમારા માર્ગદર્શન હેઠળ આગળ વધીએ.
મોંઘવારીને કાબુમાં કરીશું
અમે વચન આપ્યું હતું કે મોંઘવારીને કાબુમાં કરીશું અને અમે અમારા લક્ષ્ય સુધી પહોંચવામાં દૃઢનિશ્ચયી છીએ. અમે એ કરીશું, એટલા માટે નહીં કે અમે ચૂંટણી દરમિયાન વચન આપ્યું હતું પરંતુ અમે ઇચ્છીએ છીએ કે દરેક ગરીબ વ્યક્તિ જમી શકે. આ જવાબદારી આપણે બધાએ સ્વીકારવી પડશે.
ટીકાઓનો સ્વીકાર છે
અમે ટીકાઓને આવકારીએ છીએ. જેટલી ટીકાઓ થશે તેનો ફાયદો દેશને થવાનો છે. આ લોકતંત્ર છે, ટીકા શક્તિ આપે છે અને તે આપણને માર્ગદર્શન પણ કરે છે.
2022 સુધીમાં બધાને ઘરનું ઘર હશે
આ 10થી 12 વર્ષનો લાંબો કાર્યક્રમ છે, આ અભિયાન શરૂ કરવું પડશે. દેશની આઝાદીના 75 વર્ષ થશે અને આપણે જ્યારે આપણા દેશના લડવૈયા અને હિરોને યાદ કરીશું ત્યારે બધાને ઘરો પણ આપવામાં આવશે.
ક્લિન ઇન્ડિયા માટે કામ કરીશું
મહાત્મા ગાંધીએ સ્વચ્છતાનો પાઠ ભણાવ્યો હતો. તેમના આશ્રમો પણ તેના પર જ ધ્યાન આપે છે. આપણે પણ આપણા રાષ્ટ્રપિતાને તેમની 2019માં 150મી જન્મજયંતિ વખતે ક્લિન ભારતની ભેંટ આપીએ.
લઘુમતિઓ માટે કામ કરીશું
જો આપણા શરીરનો કોઇ એક હિસ્સો નબળો હોય તો આપણું શરીર સ્વસ્થ રહી શકતું નથી, તેવી જ રીતે સમાજનો એક હિસ્સો નબળો રહ્યો તો સમાજ સશક્ત નહીં બની શકે. અમે તૃષ્ટિકરણની નહીં પરંતુ બદલાવ લાવવા માગીએ છીએ.
અમે વચનોને પૂરા કરીશું
એ વાત સમજી શકાય છેકે લોકોને શંકા છે, પરંતુ હું તેમને ખાતરી આપું છુંકે આ ગૃહ જે માર્ગ રાષ્ટ્રપતિ દ્વારા સુજવવામાં આવ્યો છે, તે દિશામાં કામ કરશે અને બધા વચનોને પૂર્ણ કરવામાં આવશે.
અમે રાજ્યો માટે કામ કરીશું
અમે મોટાભાઇ જેવી વર્તણૂક(રાજ્યો પ્રત્યે)માં વિશ્વાસ નથી રાખતા. અમે કોઓપરેટિવ ફેડરલિઝમમાં વિશ્વાસ ધરાવીએ છીએ.
કૃષિ ક્ષેત્રમાં મોર્ડન ટેક્નિક
ખેતિવાડીમાં મોર્ડનાઇઝેશનની જરૂર છે. આપણે ઝડપથી ટેક્નોલોજીને લાવવી પડશે. જે પ્રોડક્ટિવિટી માટે સારી છે કારણ કે મોટી સંખ્યામાં લોકો એ ક્ષેત્રમાં વધી રહ્યાં છે, પંરતુ જમીન નબળી પડી રહી છે. આપણે સોઇલ પ્રોડક્ટિવિટી વધારી શકીએ છીએ. એ માટે, આપણી યુનિવર્સિટીઝ એ દિશામાં રિસર્ચ કામ કરે તે જરૂરી છે. ઘણા વર્ષોથી કઠોળ અંગે કોઇ સંશોધન થયું નથી. કઠોળ આપણા માટે એક પડકાર બની રહ્યાં છે.
વિકાસને એક જનઆંદોલન બનાવવાની જરૂર છે
મહાત્મા ગાંધીએ આઝાદીની લડાઇને જનઆંદોલન બનાવી દીધું હતું. ઝાડૂ લગાવનારો પણ કહેતો તે દેશની આઝાદી માટે કંઇક કરી રહ્યો છે. આ જ લાગણીઓને આપણે વિકાસની દિશામાં વાળવાની છે. વિકાસને પણ એક જનઆંદોલન બનાવવાની જરૂર છે.
અમે ગરીબો માટે કામ કરીશું
અમે એ તમામ કરીશું જે અમારા એજેન્ડામાં છે. સરકાર દેશની ગરીબ જનતા માટે હોવી જોઇએ. સરકાર કોના માટે હોવી જોઇએ ધનિકો માટે કે ગરીબો માટે? ધનિક પોતાના બાળકોને ઇચ્છે ત્યાં ભણાવી શકે છે, હજારો ડોક્ટર્સની સેવા લઇ શકે છે. તેથી સરકારે હંમેશા ગરીબોનું સાંભળવું જોઇએ. જો આપણે ગરીબો માટે કામ નહીં કરીએ તો લોકો આપણને ક્યારેય માફ નહીં કરે.