ઉમર 141 વર્ષ, કાશ્મીરમાં છે વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિ?
કાશ્મીરના ઉડી જિલ્લાના બિહજામા ગામમાં રહેતા ફિરોજ-ઉન દીન મીર પોતાની જન્મ તારીખ 10 માર્ચ 1872 જણાવી છે. તેમનો દાવો કોઇ ગપગોળો નથી. મીર પાસે એક સરકારી સર્ટીફિકેટ પણ છે, જેમાં તેમની જન્મ તારીખ આ લખવામાં આવી છે. જો તેમનો દાવો સાચો સાબિત થશે તો, ધરતી પર જીવીત સૌથી વયોવૃદ્ધ વ્યક્તિનો ખિતાબ હાંસલ કરી લેશે. હાલ આ રેકોર્ડ જાપાનના 115 વર્ષની મિસાઓ ઓકાવા પાસે છે. અત્યારસુધી સૌથી વધુ ઉમર સુધી જીવીત રહેવાનો રેકોર્ડ ફ્રેન્ચની મહિલા જેની કાલમેન્ટના નામ પર છે, જેમનું નિધન 122 વર્ષની ઉમરે થયો હતો. મીરની આ વાત સાચી સાબિત થઇ તો તે આ રેકોર્ડને પણ તોડી નાંખશે.
કાશ્મીર લાઇફ મેગેઝિનના અહેવાલ અનુસાર 141 વર્ષના મીર પોતાની પાંચમી પત્ની મિસરા સાથે રહે છે, જે તેમના કરતા 60 વર્ષ નાના છે. મીરે પોતાની ઉમરના 8માં દશકામાં મિસરા સાથે લગ્ન કર્યા હતા. આ પહેલા તેમની ચાર પત્નીઓ હતી. મીરની દ્રષ્ટિ હવે નબળી પડી ગઇ છે, પરંતુ તે પરિવારજનોની મદદથી હરી-ફરી શકે છે. મીર પોતાના પિતાના નક્શેકદમ પર ચાલીને ફળ અને મેવોના વ્યાપારી બની ગયા હતા. તે પિતા સાથે કરાચી જતા હતા. મીર કહે છે કે, એ દરમિયાન ભારત અને પાકિસ્તાનની સીમાઓ નહોતી. અહીથી મુજફ્ફરાબાદ જવું શ્રીનગર જવા કરતા ઘણું સહેલું હતું. હું કરાચીમાં એક વ્યાપારી પરિવાર સાથે કામ કરતો હતો. હું કાશ્મીર ડ્રાઇ ફ્રૂટ્સ લઇ જઇને ત્યાં વેંચતો હતો. આ મેવા કરાચીમાં ઘણા લોકપ્રીય હતા.
1890માં તેમના પહેલા લગ્ન થયા અને 1900માં પત્નીનું મોત થયું ત્યાં સુધી તેઓ કરાચીમાં રહ્યાં. જ્યારે તેમની પત્નીનું મોત નીપજ્યું, તો તે પોતાના ગામ પરત આવતા રહ્યાં અને પછી ચાર વાર લગ્ન કર્યા. તેમની પાંચમી પત્ની મિસરાએ જણાવ્યું કે, તેમણે ઘણા કડવા અનુભવોનો સામનો કર્યો છે. તે 1880માં સોપોર અને પાટણ વિસ્તારમાં આવેલા ભૂકંપ અંગેની વાતો જણાવે છે. જ્યારે તેઓ કરાચી જતા હતા, ત્યારે તેમણે ઘણા જીવો બચાવ્યા હતા. છેલ્લા 100 વર્ષમાં તે અનેક મોટી ઘટનાઓના સાક્ષી રહ્યાં છે. મીરે એ સમય પણ યાદ કર્યો, જ્યારે પાકિસ્તાની છાપેમારોએ કાશ્મીરમાં ઘૂસણખોરી કરી હતી. તેઓ જણાવે છે કે કેવી રીતે મોહરાના પાવર હાઉસને તબાહ કરી દેવામાં આવ્યું અને ગાર્ડની હત્યા કરવામાં આવી હતી. તમામ લોકોએ પર્વતોમાં છૂપાઇને રહેવું પડ્યું હતું.
મીર કહે છે કે, હવે જીવનમાં ટેક્નોલોજીએ ઘણી દખલગીરી કરી છે. તેઓ કહે છે કે, આજે જીવન ઘણું સહેલું થઇ ગયું છે, પરંતુ લોકો એક બીજા સાથે શાંતિથી રહી શકતા નથી. મીરના પૌત્ર અબ્દુલ રાશિદ જણાવે છે કે,10 વર્ષ પહેલા આંખોના ઓપરેશન બાદ મીરની નજર અને મેમરી પર ઘણી અસર પહોંચી છે. અમે તેમની ઘણી કહાણીઓ સાંભળતા હતા, તે સંભળાવતા રહેતા અને કહાણીઓ ક્યારેય ખતમ થતી નહોતી. તેમણે જીવનને ઘણું નજીકથી જોયું છે.